સુરતના કાપોદ્રા વિસ્તારમાં દસ દિવસ અગાઉ દેવીપૂજક સગીરની હત્યા
દેવીપૂજક સગીરના હત્યારાએ અડ્ડા ઉપર દારૂનો નશો કર્યો
કુખ્યાત બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરના ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન
સુરતના કાપોદ્રા વિસ્તારમાં દસ દિવસ અગાઉ દેવીપૂજક સગીરના હત્યારાએ જે અડ્ડા ઉપર દારૂનો નશો કર્યો હતો તે કુખ્યાત બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરના બીજા માળના ગેરકાયદે બાંધકામનું પોલીસ અને સુરત મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા ડિમોલીશન કરવામાં આવ્યું હતું.
દસ દિવસ અગાઉ કાપોદ્રાની ક્રિષ્નાનગર વસાહતમાં રહેતા ૧૭ વર્ષીય પરેશ અરવિંદ વાઘેલાની ચપ્પુના ઘા ઝીંકી પ્રભુ શેટ્ટી નામના યુવાને હત્યા કરી હતી. પ્રભુ શેટ્ટી જે સોસાયટીમાં રહે છે તે કાપોદ્રાની મમતા પાર્ક સોસાયટી-૨ ની પાછળ દિનદયાળ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગણેશ બચુબાઈ રાજપૂત ઉર્ફે ગણેશ મદ્રાસી નો અડ્ડો ધમધમે છે. પ્રભુએ ગણેશના અડ્ડા ઉપર દારૂનો નશો કરી નીકળ્યો હતો અને ત્યાર બાદ પરેશની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે પરેશની હત્યાને પગલે દેવીપૂજક સમાજ રસ્તા ઉપર ઉતર્યો હતો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. જો કે પરેશના મોત બાદ સફાળી જાગેલી પોલીસ ગણેશ મદ્રાસી ઉપર સકંજો કસવાની સાથે આજ રોજ તેના દિનદયાળ સોસાયટીના ઘર નં. ૨૧૪ ના બીજા માળે ગેરકાયદે બાંધકામ કરી પતરા નાંખ્યા હતા તેનું કોર્પોરેશનની મદદથી ડિમોલીશન કર્યુ હતું.