સુરત મહાનગર પાલિકાના વરાછા એ ઝોન કચેરી ખાતે લાંબી કતારો
જન્મ-મરણના દાખલામાં સુધારા-વધારા માટે લાંબી કતારો
કચેરીમાં સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ કામગીરી
સુરત મહાનગર પાલિકાના વરાછા એ ઝોન કચેરી ખાતે ભારે અવ્યવસ્થાના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં જન્મ-મરણના દાખલામાં સુધારા-વધારા તેમજ નવા દાખલા મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા લાંબી કતારો લાગી ગઈ હતી.
સુરતના વરાછા એ ઝોન કચેરી ખાતે જન્મ અને મરણના દાખલા સંબંધિત કામગીરી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. કચેરીની બહાર સુધી લાંબી કતારો લાગી જતા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. શાળાઓમાં પ્રવેશ માટે આખા નામ સાથેનો જન્મનો દાખલો જરૂરી બનતા મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકો સાથે કચેરીએ પહોંચ્યા હતા. દાખલામાં નામ સુધારા, વધારા તેમજ નવા દાખલા મેળવવા માટે લોકો ધક્કામુક્કી વચ્ચે પોતાની વારીની રાહ જોતા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી તેઓ દાખલા મેળવવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી અરજદારોને વારંવાર ચક્કર લગાવવા પડી રહ્યા છે. કચેરીમાં સવારે 10:30 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ કામગીરી કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીઓને વસ્તી ગણતરીની કામગીરી માટે મોકલવામાં આવતા દાખલા સંબંધિત કામકાજ સ્થગિત થઈ જાય છે. મર્યાદિત સમય અને વધતી અરજીઓના કારણે અનેક લોકોનું કામ પૂર્ણ થઈ શકતું નથી. જેના કારણે લોકોમાં અસંતોષ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અરજદારોએ તાત્કાલિક વધારાની વ્યવસ્થા કરીને કામગીરીનો સમય વધારવાની માંગ ઉઠાવી છે.
