સુરત જિલ્લાના 29 જેટલા વિદ્યાર્થીઓમાં ખુશી
જનજાતિય વિદ્યાર્થીઓને શ્રી હરિકોટા ખાતે ઈસરોની શૈક્ષણિક મુલાકાત
ભવિષ્યમાં તેઓ પણ દેશના અવકાશ મિશનમાં યોગદાન આપે
સુરત જિલ્લાના 29 જેટલા જનજાતિય વિદ્યાર્થીઓને શ્રી હરિકોટા ખાતે આવેલી ઈસરોની શૈક્ષણિક મુલાકાતે લઈ જવાતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
સુરત જિલ્લાના જનજાતિય વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ સામે આવી છે. જિલ્લાના કુલ 29 વિદ્યાર્થીઓને ભારતના ગૌરવ સમાન અવકાશ સંસ્થા ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના શ્રી હરિકોટા સ્થિત સેન્ટરની શૈક્ષણિક મુલાકાતે લઈ જવાયા છે. આ તમામ વિદ્યાર્થીઓએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિમાન મારફતે સતીષ ધવન સ્પેશ સેન્ટર પહોંચીને પોતાના જીવનનો એક અનોખો અનુભવ મેળવ્યો છે. ખાસ વાત એ છે કે આ તમામ વિદ્યાર્થીઓ માટે આ તેમની જીવનની પ્રથમ ફ્લાઈટ હતી, જેને લઈ તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના આ વિશેષ શૈક્ષણિક પ્રવાસને વિજ્ઞાન સેતુ આદિવાસી સિતારે નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જનજાતિય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્ર પ્રત્યે પ્રેરિત કરવાનો છે. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ઈસરોના સેટેલાઈટ લોન્ચિંગ સેન્ટરની મુલાકાત લઈને રોકેટ લોન્ચિંગ અને અવકાશ સંશોધન અંગે પ્રાથમિક માહિતી મેળવી શકશે. તો બીજી તરફ, આ સમગ્ર પ્રવાસના નોડલ અધિકારી તરીકે અશોક કુમાર ગુપ્તાને નિમવામાં આવ્યા હતા. જેમણે સમગ્ર આયોજનનું માર્ગદર્શન આપ્યુ હતું. આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યેનો રસ વધે અને ભવિષ્યમાં તેઓ પણ દેશના અવકાશ મિશનમાં યોગદાન આપેએ જ મુખ્ય ઉદ્દેશ્ય છે.
