સુરતમાં યાર્નના વેપારી પર ફાયરિંગ
પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી,
વેપારીને હોસ્પિટલમાં દાખલ કરાયા
સુરતના ગડોદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાર્નના વેપારી પર ફાયરિંગ થયું છે. પાછળથી આવેલા બાઈક સવારે પીઠ પર ગોળી મારી છે. ગોળી વાગતા વેપારીને હોસ્પિટલ ખસેડાયાં છે. ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો છે. ફાયરિંગ કેમ કરવામાં આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.
યોગીચોક વિસ્તારમાં રહેતા સંજય પડશાલા રોજિંદા કામ માટે ઉધના તરફ બાઇક લઈને જતા હતા ત્યારે નારાયણનગર ખાડી વિસ્તાર પાસેની અંજની નંદન બિલ્ડિંગ નજીક બાઈક પર આવેલા અજાણ્યા શખ્સે પીઠના ભાગે ગોળી ચલાવી હતી. પીઠના ભાગે ગોળી વાગતાં તેઓ તરત જ પડી ગયા હતા. ત્યાર બાદ તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક્સ-રેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે પીઠમાં બુલેટ ફસાઈ ગઈ છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને સર્જરી દ્વારા બુલેટ કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગેની જાણ થતા ગોડાદરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને ફરતો જોવા મળી રહ્યો છે. જેને હાલ મુખ્ય શંકાસ્પદ તરીકે શોધવામાં આવી રહ્યો છે. આ સમગ્ર ઘટના અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, અંજની નંદન બિલ્ડીંગની નજીક ફાયરિંગની ઘટના બની છે. જ્યાં ભોગ બનનાર સંજય પડશાલા તેમના રોજિંદા કાર્ય માટે ઘેરેથી નીકળીને ઉધના જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ગોડાદરા પોલીસ સ્ટેશન સાથે ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે.