ધોળકા રોડ પર રેલ્વે અંડરબ્રિજને લઈ લોકોને ભારે હાલાકી
વર્ષના બારેય માસ અંડરબ્રિજમાં ભૂગર્ભ જળ ભરાતા પરેશાન
આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ
બાવળાના ધોળકા રોડ પર આવેલા રેલવે અંડરબ્રિજમાં બારેય માસ પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા અંગે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. સામાજિક કાર્યકર પ્રફુલ મહેતાએ કલેક્ટર બી.આર.સાગરને આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.
વર્ષ 2018માં સાબરમતી બોટાદ બ્રોડગેજ લાઇનનું કામ ચાલતું હતું ત્યારે જ સ્થાનિક રહીશો અને રાઈસ મિલ માલિકો દ્વારા ઓવરબ્રિજ બનાવવાની લેખિત રજૂઆત કરાઈ હતી. ઉદ્યોગપતિ રતિભાઈ લાલજીભાઈ પટેલ અને અન્ય આગેવાનોએ તે સમયે મુખ્યમંત્રી કાર્યાલય અને બાવળા નગરપાલિકાને પત્ર લખી અંડરબ્રિજથી વરસાદી પાણીના નિકાલના રસ્તા બંધ થવાની અને ખેતીને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી હતી. નગરપાલિકાએ કન્સલ્ટન્ટ એજન્સી પાછળ મોટો ખર્ચ કર્યો હોવા છતાં આ પ્રોજેક્ટ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. આ સમસ્યાના ઉકેલ માટે ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી અને રેલવે ડિવિઝનને પણ રજૂઆત કરવામાં આવી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે રેલવે એન્જિનિયરો દ્વારા સોઇલ ટેસ્ટિંગમાં ખામી રહી હોય તેવું જણાય છે, કારણ કે અંડરબ્રિજમાં 365 દિવસ જમીનમાંથી પાણી નીકળી રહ્યું છે. વરસાદી ઋતુમાં બાવળા ગામનું પાણી ભરાઈ રહેતા આ સ્ટેટ હાઈવેનો ટ્રાફિક ઠપ્પ થઈ જાય છે, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રજૂઆતમાં માંગ કરાઈ છે કે રેલવે ડિપાર્ટમેન્ટની ક્વોલિટી કંટ્રોલ અને વિજિલન્સ દ્વારા આ કામની તપાસ કરવામાં આવે. જો ટેકનિકલ રીતે અંડરબ્રિજ સફળ ન હોય, તો તેને બદલે તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
