બારડોલી તાલુકા પંચાયત વિપક્ષ મુક્ત બની
અસ્તાન-૩ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના નીલકંઠ રાઠોડનો ભવ્ય વિજય
બારડોલી તાલુકા પંચાયતની ખાલી પડેલી અસ્તાન-૩ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનો ગઢ સાબિત કરીને ભવ્ય વિજય મેળવ્યો છે.
બારડોલી અસ્તાન તાલુકા પંચાયતની આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો, જેની આજે મતગણતરી બારડોલી તાલુકા પંચાયતના સભાખંડમાં હાથ ધરવામાં આવી હતી. ચુસ્ત માહોલ વચ્ચે માત્ર બે રાઉન્ડમાં જ સમગ્ર મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. આ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીલકંઠભાઈ રાઠોડને કુલ ૨૦૨૭ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના ઉમેદવાર નૈલેષભાઈ રાઠોડને માત્ર ૬૩૯ મત મળ્યા હતા. આમ ભાજપના નીલકંઠભાઈ રાઠોડે મોટા માર્જિનથી કોંગ્રેસના ઉમેદવારને પરાજય આપી બેઠક પર કબ્જો જમાવ્યો છે.
બારડોલી તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકોમાંથી સામાન્ય ચૂંટણી સમયે ૨૧ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો, જ્યારે આ એક બેઠક બાકી રહી હતી. હવે આ પેટાચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થતાં તાલુકા પંચાયતની તમામે તમામ ૨૨ બેઠકો ભાજપ હસ્તક આવી ગઈ છે, જેને પગલે બારડોલી તાલુકા પંચાયત હવે સત્તાવાર રીતે વિપક્ષ વગરની એટલે કે સંપૂર્ણ વિપક્ષ મુક્ત તાલુકા પંચાયત બનવા પામી છે. આ ઐતિહાસિક જીત બાદ વિજેતા ઉમેદવાર નીલકંઠ રાઠોડ સહિત ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો..
