સ્મશાન ગૃહમાં ભીના લાકડાને લઈને એએમસીની ઝાટકણી
વિવેકાનંદ ગ્રામોદ્યોગ સંઘને અપાયો છે કોન્ટ્રાક્ટ.
બેદરકારીનો વીડિયો સામે આવ્યા બાદ કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી.
કોઇપણ માણસનું જીવન જેટલા પણ દુખ, સંઘર્ષ કે ખરાબ પરિસ્થિતિ ભરેલુ રહ્યુ હોય, પણ તેના મોત પછી તેની અંતિમ વિધિ જો સારી રીતે થાય તો તેની આત્માને મુક્તિ મળી શકે તેવુ કહેવામાં આવે છે.જો કે અમદાવાદમાં એક પરિવારને એએમસીના સ્મશાનગૃહમાં અંતિમવિધિ દરમિયાન એક કડવો અનુભવ થયો છે. આ પરિવાર મૃતકની અંતિમ વિધિ પણ સન્માનપૂર્વક કરી શક્યુ નહીં. પરિવારને મૃતકની ચિતા ટાયરો અને ગોદડાથી સળગાવવી પડી.
વિચારીને આપણું હૈયુ પણ રડી જાય કે, કોઇ પરિવાર પર શું વીતી હશે, જ્યારે તેમને પોતાના મૃત પરિજનની અંતિમ વિધિ ગોદડા અને ટાયરોથી કરવી પડી હોય.જો કે આ સત્ય ઘટના અમદાવાદ જ ઓઢવમાં આવેલા સ્મશાન ગૃહમાં બની છે. જ્યાં જીવનના અંત પછી પણ મોતનો મલાજો ન જળવાયો. પોતાના પરિજનની અંતિમવિધિ માટે પરિવારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક સ્મશાન ગૃહ તરફથી ભીના લાકડા આપવામાં આવ્યા હતા. જેના કારણે ચિતા સળગી હતી નહીં. જો કે અંતિમવિધિ તો કરવી જરુરી હોવાથી મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવીને અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. સ્મશાનગૃહ સંચાલન કરતા અધિકારીઓની સ્માર્ટ સિટીની આ વાસ્તવિકતા વીડિયોમાં જોવા મળે છે. જેમાં મૃત્યુ પછી પણ હાલાકીનો અંત નથી. કોન્ટ્રાકટરની બેદરકારી સામે AMC કાર્યવાહી કરશે કે કેમ એ પણ સવાલ છે ?
અંતિમવિધિમાં ભારે હાલાકી ભોગવનાર પરિવારે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે અમને ગોડાઉનમાંથી લાંકડા લેવાનું કહ્યું હતું પરંતુ ગોડાઉનમાં લાંકડા ન હતા અને બહાર જે લાકડા હતા તે વરસાદમાં પલળેલા હતા. તેનાથી મૃતદેહ સળગે તેમ હતો નહીં..અમે સુકા લાકડાં માટે પૂછ્યું તો. ત્યાં હાજર લોકોએ કહ્યું કે જે છે તે આ જ લાકડાં છે. પરિવારજને કહ્યું કે અમે 11 વાગ્યે આવ્યા હતા અને સાંજે 4 વાગ્યા સુધી મૃતદેહ સળગી શક્યો નહીં મૃતદેહને સળગાવવા માટે ટાયરનો ઉપયોગ કરવો પડ્યો. આવું કોઈ સાથે ન થાય તે માટે મનપાએ પગલાં લેવા જોઈએ…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
