પાટણ નાગરિક સહકારી બેંકમાં થયેલી ભરતીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
નાગરિક હિત રક્ષક સમિતિએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ
ચેરમેને ભરતી પ્રક્રિયાને નિયમોનુસાર અને પારદર્શક ગણાવી
પાટણ નાગરિક સહકારી બેંકમાં 14 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે. નાગરિક હિત રક્ષક સમિતિના કન્વીનર જયેશ પટેલે પરિવારજનોને ગોઠવવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો છે, જ્યારે બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલે ભરતી પ્રક્રિયાને નિયમોનુસાર અને પારદર્શક ગણાવી છે.
નાગરિક હિત રક્ષક સમિતિ દ્વારા નવી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું. કન્વીનર જયેશ પટેલે બેંકની મુલાકાત લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે સ્ટાફની જરૂરિયાત ન હોવા છતાં પરિવારના સભ્યોને નોકરીમાં ગોઠવવા માટે આ ભરતી કરાઈ છે. પટેલે મેનેજરને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યું કે બેંક બોર્ડને બદલે ખાનગી માલિકીની હોય તેવું વર્તન થઈ રહ્યું છે. તેમણે બેંકના બોર્ડ પર પ્રતીકાત્મક રીતે પોતાની માલિકીનો બોર્ડ મારી દેવાની ચીમકી આપી હતી અને ભરતી પ્રક્રિયા તાત્કાલિક રોકવાની માંગ કરી હતી. ભરતીમાં રવિનાબેન ઠાકોર નામની કર્મચારીની નિમણૂક અંગે ઉઠેલા સવાલો પર ચેરમેને જણાવ્યું કે તેઓ છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી બેંકમાં સેવા આપી રહ્યા છે. અગાઉના ચેરમેન દ્વારા તેમની અવગણના કરાઈ હોવા છતાં, માનવતાના ધોરણે અને ડિલિવરીના સમયગાળા દરમિયાન પણ તેમને નોકરી પર ચાલુ રખાયા હતા. આ વખતે ભરતી પ્રક્રિયા દરમિયાન તેમના અધિકારની રૂએ તેમને કાયમી કરાયા છે. આમ, બેંક પ્રશાસને દાવો કર્યો છે કે સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે અને સરકારી ધારાધોરણો મુજબ જ પૂર્ણ કરાઈ છે
આ ગંભીર આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા બેંકના ચેરમેન મહેન્દ્ર પટેલે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે ભરતી માટે સરકારના અનુબંધ પોર્ટલ પર જાહેરાત અપાઈ હતી, જે સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ હતી. આ જાહેરાતના પ્રતિસાદ રૂપે અંદાજે 76 ઉમેદવારોએ અરજી કરી હતી. ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે કાયદેસર છે અને તેના ઇન્ટરવ્યુ અંગેની જાણકારી અગાઉથી જ જિલ્લા રોજગાર કચેરીને પત્ર દ્વારા અપાઈ હતી. ચેરમેને ઉમેર્યું કે આ પ્રક્રિયામાં 12 ક્લાર્ક, 1 આઈટી ક્લાર્ક અને 1 પટાવાળા સહિત કુલ 14 લોકોની ભરતી કરાઈ છે, જેમાં 3 જૂના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે જેમને કાયમી ઓર્ડર અપાયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
