સુરત : ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત પાણી છોડનાર સામે કાર્યવાહી
લિંબાયત ઝોનમાં કેમિકલયુક્ત પાણી ડ્રેનેજમાં છોડનારા 103 યુનિટ સીલ
વરાછામાં પણ 6 જેટલા યુનિટોને સીલ કરાયા
સુરતના લિંબાયત વિસ્તારમાં ગટરો ઉભરાવવા મામલે તપેલા ડાઈંગોના કેમિકલયુક્ત પાણી જવાબદાર હોવાની ફરિયાદ બાદ લિંબાયત ઝોન દ્વારા 103 જેટલા તપેલા ડાઈંગ યુનિટોને સીલ કરાયા હતાં. તો વરાછામાં પણ છ જેટલા યુનિટો સીલ કરાયા હતાં.
સુરતના લિંબાયત વિસ્તારમાં ચોમાસા દરમિયાન ગટરો ઉભરાવવાની સમસ્યા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી કેમિકલયુક્ત પાણી બહાર આવવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. તો હાલમાં જ કબ્રસ્તાન અને સ્મશાન ખાતે તપેલા ડાઈંગના કેમિકલયુક્ત પાણી પ્રસરી જતા વિરોધ થયો હતો. તો સુરત મહાનગર પાલિકાની લિંબાયત ઝોન દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠ્યા બાદ સુરત મહાનગર પાલિકાની લિંબાયત ઝોન દ્વારા ગોવિંદ નગર, રાવ નગર સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરતા 103 જેટલા તપેલા ડાઈંગ યુનિટોને સીલ કરાયા હતાં. જ્યારે વરાછામાં પણ 6 જેટલા યુનિટોને સીલ કરાયા હતાં..
