અમરેલીમાં કોકિલાબેન કાકડીયાનું ખેડૂતો અને મહિલાઓને આહવાન
જમીન બચાવવા અને જીવ બચાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી
જમીન બચાવવા અને જીવ બચાવવા પ્રાકૃતિક ખેતી જરૂરી છે ત્યારે કોકિલાબેન કાકડીયાનું ખેડૂતો અને મહિલાઓને આહવાન કર્યુ
આજના સમયમાં રાસાયણિક ખેતીના અતિઉપયોગથી જમીનની તંદુરસ્તી બગડી રહી છે, માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે અને પર્યાવરણ માટે પણ જોખમ ઊભું થયું છે. આવી સ્થિતિમાં પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી જ એકમાત્ર ટકાઉ વિકલ્પ છે—આવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કરતાં પ્રગતિશીલ મહિલા ખેડૂત કોકિલાબેન કાકડીયાએ દરેક ખેડૂત અને ખાસ કરીને મહિલાઓને પ્રાકૃતિક ખેતી અપનાવવાનું આહ્વાન કર્યું છે. કોકિલાબેન કાકડીયાએ જણાવ્યું કે તેમની પાસે કુલ 150 વીઘા જમીન છે, જેમાંથી 40 વીઘા વિસ્તારમાં તેઓ પ્રાકૃતિક બાગાયત ખેતી કરે છે. આ બાગાયતી ખેતરમાં આંબા, ચીકુ સહિતના વિવિધ બાગાયત પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના પરિણામે કોકિલાબેનને નોંધપાત્ર લાભ મળ્યો છે. તેમણે જણાવ્યું કે 40 વીઘા જમીનમાંથી એક જ સિઝનમાં 25 લાખ રૂપિયાથી વધુનું ઉત્પાદન મેળવી શકાય છે. ઓછો ખર્ચ, જમીનની ઉર્વરતા જાળવી રાખવી અને પાકની ગુણવત્તા વધારવી—આ ત્રણેય લાભો એકસાથે મળતા હોવાથી પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે નફાકારક સાબિત થઈ રહી છે. પ્રાકૃતિક ખેતી માટે તેમણે પોતે જ 50 ટ્રેક્ટર ટ્રોલી જેટલું ખાતર તૈયાર કર્યું છે. આ ખાતરમાં અલસીયા (કીડા) ભરપૂર માત્રામાં છે, જે જમીનને જીવંત બનાવે છે. હાલ આ ખાતર આંબા તથા ફૂલના પાકમાં નાખવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં ગુબાળ (વર્મીકોમ્પોસ્ટ)ની ખેતી શરૂ કરવાની યોજના પણ છે અને તે દિશામાં તૈયારી ચાલી રહી છે…
