કાંકરેજના દેવ દરબાર ઓગડ મઠ લાફાકાંડ મામલો.
મહંત બળદેવનાથની ધરપકડ
ડીસા પોલીસે ધરપકડ બાદ પૂછપરછ શરુ કરી
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓગડ સ્થિત દેવ દરબાર જાગીર મઠના ચર્ચિત લાફાકાંડના મામલે મહંત બળદેવગિરીની અટકાયત કરીને ડીસા પોલીસ સ્ટેશન લવાયા છે. ચૌધરી સમાજના સતત આંદોલન બાદ એફઆઈઆરમાં નામ ન હોવા છતાં આજે 7 ઓગસ્ટ ડીસા રૂરલ પોલીસ મથકે તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે.
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઓગડ સ્થિત દેવ દરબાર જાગીર મઠના ચર્ચિત લાફાકાંડ મામલે સ્થિતિની ગંભીરતાને જોતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરીએ ઉશ્કેરાટ કે અફવાઓ પર ધ્યાન ના આપી સંયમ જાળવવા અપીલ છે. હાલ તો સમગ્ર મામલે ઉત્તર ગુજરાતમાં ઉકળતા ચરું જેવી સ્થિતિ છે. દેવ દરબાર મઠમાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરી સાથે મારપીટનો વીડિયો વાઇરલ થતા આ વિવાદની શરૂઆત થઈ હતી. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને કેટલાક આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા હતા. જોકે, FIRમાં મહંત બળદેવગીરીનું નામ ઉમેરાયું નહોતું, FIRમાં મહંત બળદેવગીરીનું નામ ઉમેરવાની માગ સાથે ચૌધરી સમાજે પાલનપુર, રાધનપુર, ધાનેરા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા. ડીસા ડિવિઝન DYSPએ જણાવ્યું હતું કે, અગાઉ આ ગુનામાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કર્યા હતા, જે બાદ પુરાવાના આધારે મહંત બળદેવગિરીની પૂછપરછ અર્થે અટકાયત કરી છે.
બીજી તરફ, આ ઘટનામાં પીડિતને યોગ્ય ન્યાય મળે તેવા સૂર સાથે 7 ઓગસ્ટે ધાનેરા ખાતે સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભેમાભાઈ ચૌધરીની આગેવાનીમાં સર્વાનુમતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો તંત્ર દ્વારા આ મામલે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી 11મી તારીખે સીનાડ મઠથી ‘અમારી આદર્શ રેલી’ ગાંધીનગર તરફ પ્રયાણ કરશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
