ભાવનગર મેડિકલ કોલેજમાં વિવાદ
રેગિંગના આરોપીઓને સજા માફી અને ઇન્ટર્નશિપમાં પુનઃપ્રવેશ
મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવ્યું
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી દ્વારા રેગિંગના આરોપી વિદ્યાર્થીઓની સજા માફ કરી તેમને ફરીથી ઇન્ટર્નશિપમાં દાખલ કરવાના નિર્ણયને પગલે સરકારી મેડિકલ કોલેજ, ભાવનગરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓએ આ નિર્ણયને સંપૂર્ણપણે ગેરકાયદેસર ગણાવીને ડીનને આવેદનપત્ર પાઠવ્યું છે,
ભાવનગરમાં યુનિવર્સિટીના કુલપતિ દ્વારા રેગિંગ જેવી ગંભીર ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને માનવતાના ધોરણે સજા માફ કરી, તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને ઇન્ટર્નશિપ કમ્પ્લીશન સર્ટિફિકેટ રિલીઝ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આ નિર્ણય કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર અને એન્ટી-રેગિંગ કમિટી કે ફરિયાદી પક્ષને સાંભળ્યા વગર લેવામાં આવ્યો છે, ખાસ કરીને જ્યારે આ કેસ હજુ હાઈકોર્ટમાં સુનાવણી હેઠળ છે, ત્યારે યુનિવર્સિટીનો આ નિર્ણય કાયદાકીય મર્યાદાનું ઉલ્લંઘન કરે છે. વિદ્યાર્થીઓ અને એસોસિએશનના જનરલ સેક્રેટરી જગદીશ સિહોરાએ જણાવ્યું હતું કે, બે વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ ઇન્ટર્નશિપમાં ફરી જોઈનિંગ આપવા માટે નેશનલ મેડિકલ કમિશન NMC ની મંજૂરી લેવી અનિવાર્ય છે, જે અહીં લેવામાં આવી નથી. આ નિર્ણય સ્પષ્ટપણે નિયમોની વિરુદ્ધ છે.
જ્યારે વિદ્યાર્થીઓએ ડીન ડો.ચિન્મય શાહને રજૂઆત કરી ત્યારે તેમણે આ મુદ્દે પોતાની સત્તા મર્યાદિત હોવાનું અને યુનિવર્સિટી એપિલેટ ઓથોરિટી હોવાનું જણાવી જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા, ડીનના આ વલણથી વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે જો તેમની પોતાની સંસ્થા જ આ અન્યાયી નિર્ણય સામે યુનિવર્સિટીમાં રજૂઆત નહીં કરે, તો ભવિષ્યમાં રેગિંગ જેવી ઘટનાઓને રોકવી અશક્ય બનશે અને વિદ્યાર્થીઓનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગ છે કે યુનિવર્સિટી દ્વારા લેવાયેલા સજા માફીના નિર્ણયને તત્કાલ અસરથી સ્થગિત કરવામાં આવે અને રેગિંગના આરોપીઓને જે ડોક્યુમેન્ટ્સ પરત કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, તેને રોકવામાં આવે જેથી કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે, તેને રોકવામાં આવે જેથી આવનારી પેઢી માટે એક દાખલો બેસે અને મેડિકલ કોલેજનું વાતાવરણ ભયમુક્ત રહે..
