સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે હત્યા
પ્લાસ્ટિકના કચરાના ધુમાડા મુદ્દે થયેલી હત્યામાં મુખ્ય આરોપી ફરાર
સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા પોલીસ સતત પ્રયાસ કરી રહી છે ત્યારે સુરતના ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના કચરાના ધુમાડા મુદ્દે થયેલી હત્યા કેસમાં ડિંડોલી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા છે તો મુખ્ય આરોપી હજુ ફરાર છે.
સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલા ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે 12 મેના રોજ બપોરન સમયે હત્યાની ઘટના બની હતી. જેમાં મૃતક ઝાકીર ખાન પઠાણ ઓવરબ્રિજ નીચે પ્લાસ્ટિકના વેસ્ટનો વ્યવસાય કરતા હતા. ત્યાં ભેગા થતા કચરાને સળગાવવાથી નીકળતા ધુમાડાને લઈને આરોપીઓ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. જો કે આ બોલાચાલી થોડા જ સમયમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને બંને પક્ષો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન આરોપીઓએ ભેગા મળી ઝાકીર ખાન પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા ઝાકીર ખાનને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
બનાવને લઈ ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઝાકીર ખાનની હત્યા કરનાર પ્રીતમ રામનારાયણ શર્મા તથા શુભમ બાલકૃષ્ણ મરાઠેની અટકાયત કરાઈ હતી. જ્યારે કિરણ ઉર્ફે ચેતન બાવીસ્કર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં પોલીસ દેખરેખ હેઠળ છે. તો આ હત્યા કાંડનો મુખ્ય આરોપી અંકિત દિનકર પાટીલ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
