તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપુર ગામે ગટરની ગંભીર સમસ્યા
ગટરની ગંભીર સમસ્યાએ ગ્રામજનોને કંટાળે ચડાવ્યા
આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપુર ગામે ગટરની ગંભીર સમસ્યાએ ગ્રામજનોને કંટાળે ચડાવ્યા છે. ખાસ કરીને હળપતિ વાસમાં રહેતા લોકો માટે પરિસ્થિતિ નરક સમાન બની ગઈ છે. વર્ષોથી અધૂરું પડેલું ગટર લાઈનનું કામ ગામજનો માટે માથાનો દુખાવો બની ગયું છે, જ્યારે ચોમાસાની ઋતુમાં તો હાલત વધુ જ ખરાબ બની જાય છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વિરપુર ગામે ચોમાસા દરમિયાન હળપતિ વાસમાં કમર સુધી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ સર્જાય છે, જેના કારણે લોકોના દૈનિક જીવન પર ભારે અસર પડે છે. ગંદા પાણીના ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ ગામજનો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ અને નાના બાળકો માટે આ સ્થિતિ અત્યંત કઠિન બની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેક વખત સંબંધિત તંત્રને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ગટર લાઈનનું કામ અધૂરું હોવાથી ગંદું પાણી બહાર નિકળી શકતું નથી અને આખો વિસ્તાર ગંદકીથી ઘેરાઈ ગયો છે. આ પરિસ્થિતિથી ત્રસ્ત બની ગ્રામજનોએ હવે કડક વલણ અપનાવ્યું છે. તેઓએ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. ગ્રામજનોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે, ત્યાં સુધી તેઓ મતદાન નહીં કરે. ગામજનોની મુખ્ય માંગ છે કે ગટર લાઈનનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને કેટલું ગંભીરતાથી લે છે અને ગ્રામજનોને રાહત ક્યારે મળે છે……
