સોનગઢના ગોપાલપુરામાં ‘સેવા સેતુ ૨.૦’નો મધપૂડો
૧૧ ગામોના પ્રશ્નોનો એક જ સ્થળે નિકાલ
છેવાડાના માનવી સુધી વહીવટી તંત્ર પહોંચે અને સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે મળે તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગોપાલપુરા ગામે ‘સેવા સેતુ ૨.૦’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોપાલપુરા સહિત આસપાસના ૧૧ ગામોના નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વહીવટી તંત્ર ગ્રામજનોના દ્વારે સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારના લોકોને નાનામાં નાના સરકારી કામ માટે તાલુકા કે જિલ્લા મથકે ધક્કા ખાવા પડતા હોય છે. પરંતુ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી વહીવટી તંત્ર પોતે ગ્રામજનોના દ્વારે પહોંચ્યું હતું. આ કેમ્પમાં મુખ્યત્વે: આધાર કાર્ડમાં સુધારા-વધારા, રેશન કાર્ડના પ્રશ્નો, આવકના દાખલા અને જાતિના પ્રમાણપત્રો, આયુષ્માન કાર્ડ જેવી આરોગ્યલક્ષી યોજનાઓ, વૃદ્ધ સહાય અને વિધવા સહાય જેવી સામાજિક સુરક્ષાની યોજનાઓ, નાગરિકોને જરૂરી દસ્તાવેજોમાં સુધારા કરવાની સુવિધા પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનાથી ગ્રામજનોનો સમય અને નાણાં બંનેની બચત થઈ હતી.
આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના પ્રાંત અધિકારી, સોનગઢ તાલુકા વિકાસ અધિકારી (TDO), મામલતદાર તેમજ ગોપાલપુરા અને આજુબાજુના ગામોના સરપંચો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોને વધુમાં વધુ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ૧૧ ગામોના ક્લસ્ટર વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા. સ્થળ પર જ પ્રશ્નોનું નિરાકરણ આવતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. સ્થાનિક આગેવાનોએ પણ વહીવટી તંત્રના આ અભિગમને બિરદાવ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું..
