સુરતમાં એન.ટી.એમ. ટેક્ષ્ટાઈલ માર્કેટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો
પોલીસે આરોપીઓ પાસેથી 6 લાખ 86 હજારથી વધુ રોકડ કબ્જે કરી
આરોપી ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો હોવાનું પણ સામે આવ્યુ
સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે સલાબતપુરા પોલીસ મથકની હદમાં રીંગરોડ પર આવેલી એન.ટી.એમ. ટેક્ષ્ટાઈલ માર્કેટમાં થયેલી લાખોની ચોરીનો ભેદ સલાબતપુરા પોલીસે ઉકેલી કાઢી આરોપીઓને ઝારખંડ તથા મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા હતાં.
સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવેલ રીંગરોડ પરની એનટીએમ ટેક્ષટાઇલ માર્કેટમાં આવેલી દુકાન નંબર 1173 અને 1174નુ તાળુ તોડી રોકડ 14 લાખ 70 હજારની ચોરીની ઘટના બની હતી. જે ઘટના બાદ પોલીસ દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત તથા ખાસ પોલીસ કમિશ્નર વાબાંગ જામીર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ટુ ભગીરથ ગઢવી તથા નાયબ પોલીસ કમિશ્નર સી ડીવીઝન ચિરાગ પટેલ ના માર્ગદર્શન અને જરૂરી સુચના મુજબ સલાબતપુરા પોલીસ મથકના પી.આઈ. કે.ડી. જાડેજાએ સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ સીસીટીનવી કેમેરા ની તપાસ કરી હતી જેમાં આરોપીઓ કેદ થયા હોય જેના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વિ.વિ. ત્રિપાઠી તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઇ ગોવિંદભાઇ તથા કિશોરભાઈ ધીરૂભાઇ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અંકિતકુમાર રાજેશભાઇ નાઓની એક ટીમ ચોરી કરનાર એક આરોપીને સીસીટીવી કેમેરા આધારે ટ્રેક કરી ગોડાદરા તેના ઘર સુધી પહોંચી હતી જો કે આરોપી ચોરી કર્યા બાદ પ્રાઇવેટ ટ્રાવેલ્સ મારફત તેના વતનગામ ઝારખંડ જતો હોવાની હકીકત મળતા ઉપરી અધિકારીઓની પરવાનગી મેળવી પોલીસ ટીમ ઝારખંડ રવાના થઈ હતી. તો બીજી તરફ મુખ્ય આરોપી ગુરૂકુમાર કામતાસિંગ ચંદ્રવંશીને ઝડપી પાડ્યા બાદ તેના સાથીદારો મિથિલેષ ઉર્ફે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રોહિત અને શંકર ગુલાકી મહેતોને પણ ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી રોકડ 6 લાખ 86 હજારથી વધુ કબ્જે કર્યા હતાં. તો આરોપી ગુરૂકુમાર ફરિયાદીની દુકાનમાં જ કામ કરતો હોવાનું પણ સામે આવ્યુ છે. હાલ તો સલાબતપુરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.