નવસારીમાં પાણી અત્યારે પ્રદૂષિત થઈ રહ્યા હોવાની ગંભીર વિગતો
૧૫ દિવસથી નહેરમાં કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું પાણી
હજારો ગ્રામજનો અને અબોલા પશુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના તાવડી ગામમાંથી પસાર થતી નહેર કે જે હજારો લોકોની જીવાદોરી સમાન છે, તેના પાણી અત્યારે પ્રદૂષિત થઈ રહ્યા હોવાની ગંભીર વિગતો સામે આવી રહી છે. છેલ્લા ૧૫ દિવસથી નહેરમાં કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેના કારણે હજારો ગ્રામજનો અને અબોલા પશુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
આ દ્રશ્યો છે તવડી ગામમાં આવીલી નહેરના… જ્યાં છેલ્લા ૧૫ દિવસથી પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ ચૂક્યા છે. સામાન્ય રીતે જે પાણી લોકોની તરસ છિપાવતું હતું, તે પાણી આજે ગટરના પાણી જેવી ભયાનક દુર્ગંધ મારી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નહેરના પાણીમાં મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત કચરો છોડવામાં આવી રહ્યો છે. જેના કારણે આ પાણી પીવા કે વપરાશ કરવા લાયક રહ્યું નથી. ખાડીમાંથી આવતું પાણી તળાવમાં ઠાલવી અને ગ્રામજનોને આપવામાં આવે છે પરંતુ હાલ પાણી પીવા લાયક રહ્યું નથી.
દુષિત પાણીની આ સમસ્યા માત્ર થોડા લોકો પૂરતી સીમિત નથી. આ નહેરના પાણી ગામના પાતાળ તળાવમાં એકઠા કરીને આશરે ૨૫૦૦ થી ૨૬૦૦ જેટલા લોકોને પીવા અને વપરાશ માટે પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત અંદાજે ૨૫૦૦ વીઘા જેટલી ખેતીલાયક જમીન પણ સિંચાઈ માટે આ જ પાણી પર નિર્ભર છે. પાણી દૂષિત થતાં હવે લોકોની સાથે-સાથે ખેતીના પાકને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હાલ તો પાણીના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને એને લાઇબમાં તપાસથી મોકલવામાં આવ્યા છે જોકે પહેલીવાર ની તપાસમાં પાણી દૂષિત હોવાનું પણ સામે આવ્યું છે જેને લઈને સરપંચ દ્વારા મરોલી પોલીસ સ્ટેશન મામલતદાર અને અન્ય સંબંધિત અધિકારીઓને લેખિતમાં રજૂઆત પણ કરી છે
મુશ્કેલી અહીં જ ખતમ નથી થતી. આ વિસ્તારના આશરે ૭૫ ટકા લોકો પશુપાલન સાથે સંકળાયેલા છે. ગામના તેમજ આજુબાજુના ગામના અબોલા પશુઓ પણ આ નહેર કિનારે જ ચરવા અને પાણી પીવા માટે આવે છે. ત્યારે આ કેમિકલયુક્ત પાણી પીવાથી પશુઓના આરોગ્ય સામે પણ મોટું જોખમ ઊભું થયું છે. ગ્રામજનોએ મામલતદાર અને સિંચાઈ વિભાગના દ્વાર ખખડાવ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર ક્યારે જાગે છે અને આ પ્રદૂષણ ફેલાવનારા તત્વો સામે શું પગલાં લેવાય છે.
