સુરતના ગોદાવાડી ગામે લૂંટ વિથ મર્ડર કેસનો મામલો.
નિધિ પટેલના હત્યારાઓ સુધી પહોંચવા SIT ની રચના.
સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની રણનીતિ પણ ઘડવામાં આવી
ચાર દિવસ અગાઉ સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ૨૨ વર્ષીય યુવતી નિધિ પટેલની ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના લૂંટના ઇરાદે થઈ હોવાનું મનાય છે, જેમાં હત્યારાઓ કિંમતી સામાન લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાના ચાર દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી હત્યારાઓને શોધી શકી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘટના સમયે નિધિના માતા-પિતા જાત્રા કરવા ગયા હતા. આ દરમિયાન અજાણ્યા ઇસમો ઘરમાં પ્રવેશ્યા હતા અને નિધિનું દોરી તથા મોબાઈલના ચાર્જિંગ કેબલથી ગળું દબાવી હત્યા કરી હતી. ઘરમાંથી કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી તેઓ નાસી છૂટ્યા હતા. મૃતક નિધિ આગામી ચાર મહિનામાં વધુ અભ્યાસ માટે કેનેડા જવાની હતી. આ દુર્ઘટનાને કારણે પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનાને પગલે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીના પરિવારને અને મૃતક નિધિને ન્યાય અપાવવા માટે સાંજે 5 કલાકે ગોદાવાડી ગામે કોળી સમાજની એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઘટનાના ચાર દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી હત્યારાઓને શોધી શકી નથી ત્યારે સમાજના આક્રોશને જોતા જિલ્લા SP રાજેશ ગઢિયાએ SITની રચના કરી તપાસ આગળ ધરી છે
ગુજરાત કોળી સમાજના આગેવાન મનુભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, નિધિબેનના પરિવારને ન્યાય અપાવવા માટે માંડવી તાલુકા અને શહેરના તેમજ અન્ય સમાજના તમામ વડીલોને સાંજે 5 વાગ્યે યોજાનારી મીટિંગમાં સહપરિવાર ઉપસ્થિત રહેવા વિનંતી છે. તેમણે ઉમેર્યું કે, ન્યાય ન મળે ત્યાં સુધી તેઓ પીડિત પરિવારની સાથે ૨૪ કલાક ઊભા રહેશે. હત્યારાઓ વહેલી તકે પકડાય અને પરિવારને ન્યાય મળે તે માટે આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલનની રણનીતિ પણ ઘડવામાં આવી શકે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
