ગુજરાતના માછીમારો માટે કેન્દ્ર સરકાર તરફથી રાહત
માછીમારી બોટ માટેના ડીઝલમાં લિટર દીઠ 22.43 રૂપિયાનો ભાવ વધારો
માછીમારોને અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ રહેશે
ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. માછીમારી બોટમાં વપરાતા ડીઝલના ભાવમાં લિટર દીઠ કરવામાં આવેલો રૂ. 22.43નો વધારો પાછો ખેંચવામાં આવ્યો છે. હવે રાજ્યના માછીમારોને અગાઉ નક્કી થયેલા રાહત દરે જ ડીઝલ ઉપલબ્ધ રહેશે
ડીઝલના ભાવમાં લિટર દીઠ કરવામાં આવેલો 22.43 નો વધારો થતા રાજ્યના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. માછીમારો પર વધતા ખર્ચના બોજાને ધ્યાનમાં રાખીને ત્વરિત હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી હતી. રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. માછીમારોને ડિસ્કાઉન્ટ દરે ડીઝલ પૂરું પાડવા માટે ગુજરાત ફિશરીઝ કો-ઓપરેટિવ ફેડરેશન દ્વારા ભારત પેટ્રોલિયમ સાથે કરાર કરવામાં આવ્યો હતો. જોકે, તાજેતરમાં કંપનીએ ડીઝલના ભાવમાં વધારો જાહેર કરતા માછીમારોમાં અસંતોષ ફેલાયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ‘સ્પેશિયલ એક્સેપ્શન’ હેઠળ માછીમારોને રાહત આપવા માંગ કરી હતી. કેન્દ્ર સરકારે આ રજૂઆતને માન્ય રાખીને કંપનીને ભાવવધારો પાછો ખેંચવા સૂચના આપી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં વસતા હજારો માછીમારોને સીધી રાહત મળશે. મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણય બદલ વડાપ્રધાન, મુખ્યમંત્રી તથા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર હંમેશા માછીમારોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
