પોરબંદરથી મુંબઈ, દિલ્હીની ફ્લાઇટ શરૂ કરવા રજૂઆત.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સંસદમાં કરી રજૂઆત.
ગાંધીજી અને સુદામાજીની પવિત્ર નગરી પોરબંદર
રાજ્યસભા સાંસદ રામ મોકરિયાએ સંસદના ઉપલા ગૃહમાં પોરબંદરથી મુંબઈ અને દિલ્હી માટે સીધી દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની માંગ કરી છે. તેમણે ‘ઉડાન’ યોજના હેઠળ ગાંધીજી અને સુદામાજીની પવિત્ર નગરી પોરબંદરને દેશના મુખ્ય શહેરો સાથે જોડવા કેન્દ્ર સરકારને અપીલ કરી હતી.
રાજ્યસભા સાંસદ મોકરિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર મહાત્મા ગાંધી અને સુદામાજીની જન્મભૂમિ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. આટલું ઐતિહાસિક મહત્વ હોવા છતાં, શહેર પૂરતી હવાઈ સેવાથી વંચિત છે. પોરબંદરથી દેશના આર્થિક પાટનગર મુંબઈ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું સીધું જોડાણ શહેરના આર્થિક, સામાજિક અને પર્યટન વિકાસ માટે અત્યંત જરૂરી છે. હવાઈ સેવાના અભાવે ગંભીર દર્દીઓને ઈમરજન્સી સારવાર માટે મુંબઈ કે દિલ્હી જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નોકરિયાત વર્ગને પણ રોડ કે રેલ માર્ગે લાંબી મુસાફરી કરવી પડે છે, જેમાં સમય અને શક્તિનો મોટો વ્યય થાય છે.
સાંસદે વધુમાં ઉમેર્યું હતું કે પોરબંદર સોમનાથ અને દ્વારકાની મધ્યમાં આવેલું છે, બંને તરફથી આશરે 100 કિલોમીટરના અંતરે. જો અહીં હવાઈ સેવા વધે તો લાખો યાત્રાળુઓને પણ સુવિધા મળી શકે છે અને પ્રવાસન ક્ષેત્રને વેગ મળશે. પોરબંદરમાં સુંદર દરિયાકિનારો અને પ્રાચીન મંદિરો જેવી ઐતિહાસિક ધરોહરો છે. યોગ્ય કનેક્ટિવિટીના અભાવે દેશી-વિદેશી પ્રવાસીઓ અહીં આવી શકતા નથી. સીધી ફ્લાઇટ શરૂ થવાથી પ્રવાસન ક્ષેત્રે ક્રાંતિ આવશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
