વડાપ્રધાનની અપીલ બાદ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાની માંગ
ડૉ. દીપક રાજગુરુએ કહ્યું ઓનલાઇન શિક્ષણથી ઈંધણની મોટી બચત શક્ય
ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા નિયમો અમલમાં આવે તેવી શક્યતા
દેશમાં ઈંધણનો વધતો વપરાશ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે ઈંધણ બચતને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. વડાપ્રધાનની અપીલ બાદ હવે શાળાઓ અને કોલેજોમાં અઠવાડિયામાં એકથી બે દિવસ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાની માંગ ઉઠી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડૉ. દીપક રાજગુરુએ ઓનલાઇન શિક્ષણથી ઈંધણની મોટી બચત શક્ય હોવાનું જણાવ્યું હતું.
દેશમાં ઈંધણનો વપરાશ ઘટાડવા માટે હવે શિક્ષણ ક્ષેત્રે પણ નવા વિકલ્પો પર વિચારણા શરૂ થઈ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડૉ. દીપક રાજગુરુએ જણાવ્યું કે જો અઠવાડિયામાં એકથી બે દિવસ શાળાઓ અને કોલેજોમાં ઓનલાઇન વર્ગો શરૂ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશનમાં થતા ઈંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ આપવાથી માત્ર ઈંધણ બચત જ નહીં પરંતુ સમયનો પણ સદુપયોગ થશે. આ સૂચનને લઈને રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંચાલક મંડળ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાય તેવી શક્યતા છે. સરકારી અને ગ્રામિણ શાળાઓમાં વાહન વ્યવહારનો ઉપયોગ ઓછો હોવાથી ત્યાં પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવા નિયમો અમલમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈંધણની અછત ટાળવા માટે આ અગમચેતીના પગલાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
