સુરતના વેડ રોડ ખાતે નાસીરનગરમાં ડિમોલિશનને લઈને વિવાદ
કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો
ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટને રસ્તો મળી રહે તે માટે મકાનો તોડી પાડ્યા
સુરતના વેડ રોડ ખાતે નાસીરનગર વિસ્તારમાં થયેલા મોટા પાયાના ડિમોલિશનને લઈને કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ આરોપ લગાવ્યો છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટને રસ્તો મળી રહે તે માટે આશરે 200થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
સુરતના સેન્ટ્રલ ઝોન હેઠળના વેડ રોડ નાસીરનગર વિસ્તારમાં શનિવારે મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 200થી વધુ મકાનો અને ઝૂંપડાંઓને તોડી પાડવામાં આવ્યા છે, જેના કારણે અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ આ સમગ્ર કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના કહેવા મુજબ કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વગર ડિમોલિશન કરવામાં આવ્યું છે, જ્યારે નિયમ મુજબ અસરગ્રસ્ત લોકોને અગાઉથી જાણ કરવી જરૂરી હોય છે. અસલમ સાયકલવાલાનો આરોપ છે કે ખાનગી બિલ્ડરના પ્રોજેક્ટની બહાર નડતરરૂપ ગણાતા ઝૂંપડાંઓને તાત્કાલિક દૂર કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી. તેમણે આને ખાનગી હિત માટે રમાયેલો ખેલ ગણાવ્યો છે.
