અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં આવી
પ્રસૂતિ માટે આવેલી મહિલાના શરીરમાં રહી ગઈ ઇન્જેક્શનની સોય.
જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ
અમરેલી સિવિલ હોસ્પિટલ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ લાગ્યા છે. જેમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના શરીરમાં ઇન્જેક્શનની સોય રહી ગઈ હોવાનો દર્દીના પરિવારે આક્ષેપ કર્યા છે.
અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા અને ચાર મહિના સુધી પીડા સહન કર્યા બાદ અન્ય હોસ્પિટલમાં તપાસ દરમિયાન સોય હોવાનું બહાર આવ્યાનો આક્ષેપ છે. ધારી તાલુકાના ફતેગઢ ગામના પૂર્વ સરપંચ દ્વારા મામલો બહાર લાવવામાં આવ્યો છે. પ્રસૂતિ દરમિયાન બોટલ ચડાવતી વખતે સોય તૂટી શરીરમાં રહી ગઈ હોવાની રજૂઆત છે. જેમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે રજૂઆત છતાં યોગ્ય પ્રતિસાદ નહી આપ્યાનો આરોપ છે. ધારી હોસ્પિટલમાં તપાસ બાદ ઓપરેશન કરીને સોય બહાર કાઢવામાં આવી હોવાનો આક્ષેપ છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ, જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ છે. સિવિલ હોસ્પિટલની કાર્યપદ્ધતિની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે.
અગાઉ સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી હતી. શહેરના કોઠારિયા રોડ પર આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 73 વર્ષીય વૃદ્ધનું બીમારીના કારણે અવસાન થયા બાદ જરૂરી તબીબી પ્રક્રિયામાં થયેલા વિલંબને કારણે મૃતદેહ બે કલાક સુધી હોસ્પિટલમાં રઝળ્યો હતો. તબીબે મૃત્યુ બાદ રીટ્રોગેટ MLC જાહેર કર્યો હતો, પરંતુ આ પછી પોલીસ ચોકીએ જઈને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા નહીં આવતા પરિવારજનોમાં આક્રોશ ફેલાયો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
