સુરતમાં પૂરની પરિસ્થિતિ બાદ વહીવટી તંત્ર એક્શનમાં
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી
મિડીયાને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી
સુરતમાં પૂરની પરિસ્થિતિ બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હોય તેમ નાયબ મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો અને અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી.
સુરતમાં પૂર બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ વેગ આપવા વહીવટી તંત્ર મેદાનમાં ઉતર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ, મેયર માયાબેન માવાણી, ધારાસભ્યો સહિતનાઓએ ઉચ્ચ અધિકારીઓ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતુ અને વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો પાસેથી રજૂઆતો સાંભળી પાણી નિકાલ, સફાઈ, વીજ પુરવઠો, પીવાના પાણીની સુવિધા અને આરોગ્ય સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય સમયસર મળે તેની પ્રક્રિયાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જ્યાં હજુ સમસ્યાઓ યથાવત છે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતાં.
તંત્રનું કહેવું છે કે શહેરમાં સામાન્ય જનજીવન ઝડપથી પૂર્વવત્ બને અને દરેક અસરગ્રસ્ત નાગરિક સુધી જરૂરી મદદ પહોંચે તે માટે તમામ વિભાગો સતત સંકલન સાથે દિવસ-રાત કામગીરી કરી રહ્યા છે. જે અંગે મિડીયાને નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી
