સુરતમાં ગણપતિ આગમન જોવા ગયેલો 13 વર્ષીય કિશોર રસ્તો ભૂલ્યો
અશ્વિની કુમાર પોલીસ મથકે પરિવારની ગુમ થયાની ફરિયાદ
પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી કિશોરને શોધી કાઢ્યો
સુરતમાં ગણપતિ આગમન જોવા ગયેલો 13 વર્ષીય કિશોર રસ્તો ભૂલી જતા પરિવારની ચિંતામાં વધારો થયો હતો. પરિવાર તાત્કાલિક અશ્વિની કુમાર પોલીસ મથકે પહોંચ્યો અને કિશોર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બાળકને શોધી કાઢ્યો હતો.
સુરતની અશ્વિનીકુમાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડાકોરથી સુરત આવેલા અને છેલ્લા એક મહિનાથી નાના-નાની સાથે રહેતા 13 વર્ષીય કિશોર ગણપતિ બાપ્પાના આગમનનો કાર્યક્રમ જોવા માટે બહાર ગયો હતો. જોકે, પરત ફરતી વખતે તે રસ્તો ભૂલી જતા ઘરે પહોંચી શક્યો નહોતો. કિશોર ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પરિવાર તાત્કાલિક અશ્વિની કુમાર પોલીસ મથકે પહોંચ્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ કિશોરને શોધી કાઢ્યો હતો અને તેને સહીસલામત રીતે પરિવારજનોને સોંપતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો.
