કામરેજના આંબોલી સ્થિત ‘જનની ધામ’ નારી સંરક્ષણ ગૃહની મુલાકાતે
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ડો.મનીષા વકીલ
મંત્રીશ્રીએ નારી સંરક્ષણ ગૃહની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીકતા રાજ્યમંત્રી ડો. મનીષાવકીલે કામરેજના આંબોલી ખાતે ગુજરાત રાજ્ય કમિશ્નર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગર હેઠળ જનની ધામ નારી સંરક્ષણ ગૃહની ઔપચારિક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કામરેજના ખોલવડ સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્યધામની મંત્રી ડો.મનીષાબેન વકીલે મુલાકાત લીધી હતી.
આ અવસરે મંત્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી આંબોલી સ્થિત જનનીધામમાં કાર્યરત નારી સંરક્ષણગૃહમાં આશ્રય લઈ રહેલી મહિલાઓને મળતી સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. નારી સંરક્ષણ ગૃહના મેડિકલ રૂમ અને કિચનની મુલાકાત લઈને ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આશ્રય લઈ રહેલી દરેક બહેનો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી તેમની દૈનિક દિનચર્યા, મળતી સુવિધાઓ અને તેમની જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી.સંસ્થાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીએ સંચાલકો અને અધિકારીઓને બહેનોના કલ્યાણ માટેના જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે મહિલાઓની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે અને સુવિધાઓમાં સતત સુધારો થતો રહે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો.સુરતના ઉદ્યોગપતિ અને સમાજસેવક વસંતભાઈ ગજેરાએ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ડો.મનીષા વકીલના વિચારો અને સામાજિક કાર્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. અનાથ આશ્રમ અને દિવ્યાંગ સંસ્થાની મુલાકાત દરમિયાન તેમણે સરકારના સકારાત્મક અભિગમ અને સેવાકીય વિઝનની ચર્ચા કરી હતી. આ મુલાકાત પ્રસંગે સુરત જિલ્લા મહિલા અને બાળ અધિકારી આર. એન. ગામીત, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી ડી. પી. વસાવા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના અન્ય અધિકારીઓ તેમજ સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
