નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશની ધરપકડ
અપ્રમાણસર મિલ્કતના ગુનામાં એસીબીની ટીમે કરી ધરપકડ
આવક કરતા 62.13 ટકા મિલ્કત વધુ મળી
એસીબીની ટીમે નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશની અપ્રમાણસર મિલ્કતના ગુનામાં ધરપકડ કરી છે. તેમની આવક કરતા 62.13 ટકા મિલ્કત વધુ મળી છે.
ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા નવસારી ખાણ ખનીજ વિભાગના એક વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી સંદિપ મધુકર ખોપકર વર્ગ-2 વિરુદ્ધ 1,02,46,949 કરોડની અપ્રમાણસર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણીમાં 62.13 ટકા જેટલી વધુ મિલકત મળી આવી છે. આક્ષેપિત સંદિપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2 તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા. તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંજલપુર વિસ્તારમાં બી-71, આમ્રપાલી સોસાયટીમાં રહે છે. એસીબીની તપાસમાં જણાયું છે કે, સંદિપ ખોપકરે 1 જાન્યુઆરી, 2009થી 30 નવેમ્બર, 2018 સુધીના પોતાના રાજ્ય સેવક તરીકેના કાર્યકાળ દરમિયાન જાહેર સેવક તરીકે મળેલ સત્તાનો દુરુપયોગ કર્યો હતો. તેમણે આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યા અને તેનું રોકાણ સ્થાવર-જંગમ મિલકતોમાં કરી અપ્રમાણસર મિલકત વસાવી હતી. જેથી તેઓની ધરપકડ કરાઈ હતી. જે અંગે વધુ માહિતી મીડિયાને અપાઈ હતી.
