ચોટીલામાં ગેરકાયદેસર ઇંટવાડાઓ સામે કડક કાર્યવાહી
ચાર ઇંટવાડા સીલ કરાયાં
95 લાખની ઇંટો તથા રોયલ્ટી વગરની માટી સીઝ કરવામાં આવી
નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગેરકાયદેસર ઇંટવાડાઓ સામે કડક કાર્યવાહી કરી, ચાર ઇંટવાડા સીલ કરાયાં અને 95 લાખની ઇંટો તથા રોયલ્ટી વગરની માટી સીઝ કરવામાં આવી
ચોટીલા તાલુકા હેઠળ ગેરકાયદેસર રીતે સંચાલિત ઇંટવાડાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત નાયબ કલેક્ટર ચોટીલા એચ. ટી. મકવાણા અને મામલતદાર થાનગઢ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ ચાર ઇંટવાડાઓમાં ગંભીર અનિયમિતતાઓ અને કાયદાકીય ભંગ સામે આવ્યા હતા. તપાસ દરમિયાન નવાગામ, જેન્તિભાઈ દ્વારા સંચાલિત ઇંટવાડામાં અંદાજે 1,50,000 ઇંટો મળી આવી હતી. તેમજ નવાગામ, સરકારની જમીન પર વાલાભાઈ હામાભાઈ બલ્યા દ્વારા સંચાલિત ઇંટવાડામાં અંદાજે 1,00,000 ઇંટો મળી આવી હતી. આ બંને ઇંટવાડા સરકારી જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના ચલાવવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેમજ થાનગઢ, રાકેશભાઈ કરશનભાઈ પઢેરીયા તથા વિક્રમભાઈ કરશનભાઈ પઢેરીયાની માલિકીની જમીનમાં અંદાજે 15,00,000 ઇંટોનો જથ્થો તથા સજ્જનબા હિમ્મતસિંહની જમીનમાં અંદાજે 2,00,000 ઇંટોનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસમાં જાણવા મળ્યું કે આ બંને ઇંટવાડાઓ હંગામી બિનખેતીની નાયબ કલેક્ટર, ચોટીલા કચેરીની ફરજિયાત મંજૂરી મેળવ્યા વિના સંચાલિત કરવામાં આવી રહ્યા હતા. અને ઇંટ બનાવવામાં ઉપયોગ માટે લાવવામાં આવેલી અંદાજે 2,000 ટન માટી કોઈપણ પ્રકારની કાયદેસરની રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ચારેય ઇંટવાડાઓમાં ઓગણીસ લાખ ઇંટો મળી આવી હતી. ઇંટ દીઠ અંદાજિત રૂ. 5ના મૂલ્ય લેખે પંચાણું લાખ કિંમતની ઇંટો સીઝ કરવામાં આવી છે. વધુમાં, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ ન રહે તે હેતુસર ચારેય ઇંટવાડાઓને સ્થળ પર જ સીલ મારવામાં આવ્યા છે બિનખેતીની શરતોના ભંગ, પર્યાવરણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન તથા ખનિજ સંબંધિત કાયદાઓ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.નાયબ કલેક્ટર ચોટીલા શ્રી એચ. ટી. મકવાણાએ જણાવ્યું હતું કે આ સાથે જ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર ઇંટવાડાઓ સામે સતત આકસ્મિક તપાસ અને સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે..
