જમ્મુ અને કાશ્મીરમાં ફસાયેલા 50 ગુજરાતીએ આખી રાત બસમાં વિતાવી
ફસાયેલા ગુજરાતીઓને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન.
જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ તમામ સુરક્ષિત.
જમ્મુ અને કાશ્મીરના રામબણમાં ગઈકાલે વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં 3 લોકોનાં મોત થયાં હતાં. ખરાબ હવામાનને કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફર ભરેલી બસ પણ ત્યાં ફસાઈ છે. આ બસમાં 30 મુસાફર ગાંધીનગર અને 20 પાલનપુરના હતા. હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે. આ ઘટનામાં ફસાયેલા એક ગુજરાતી મુસાફરે 20 એપ્રિલની સાંજે 6:35 વાગે એક વીડિયો વાઇરલ કરી ગુજરાત સરકાર પાસે મદદની માગ કરી હતી.
જમ્મુ અને કાશ્મીરના રામબણમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે ગુજરાતના મુસાફરો ફસાયા છે, ગાંધીનગર અને પાલનપુરના તમામ ગુજરાતી મુસાફરો અંબિકા ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહ્યા છે. બસમાં નાનાં બાળકોથી લઈને ઉંમરલાયક વૃદ્ધો પણ જોવા મળી રહ્યાં છે. ઘણા લાંબા સમયથી ખાધા-પીધા વગર ગભરાયેલા મુસાફરોએ અંતે વીડિયો બનાવી ગુજરાત સરકાર પાસે મદદની માગ કરતાં જણાવ્યું કે અમારી સ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે અહીં કોઈપણ ખાવા-પીવાનું મોકલતાં નથી, અમારાં છોકરાઓ પાણીમાં બિસ્કિટ ડુબાડીને ખાઇ રહ્યાં છે. અમને લેવા આવો ગમે-તેમ કરીને. વિસ્તાર પણ ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે. વીડિયોને પગલે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે
આ અંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં ભૂસ્ખલનની ઘટના દરમિયાન અટવાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે. તમામ લોકોને રામબણ આર્મી કેમ્પમાં લઇ જવાયા છે, જેમને રિટર્ન લાવવાની વ્યવસ્થા થઈ રહી છે. બનાસકાંઠા વહીવટી તંત્ર રામબણ તંત્રના સંપર્કમાં છે. અને રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓની ટ્રાવેલ્સ બસ લેન્ડ સ્લાઈડિંગથી દૂર સેફ ઝોનમાં છે તેમજ બધા જ મુસાફરો સુરક્ષિત છે. આર્મીના જવાનોએ ગુજરાતના આ મુસાફરોને ભોજન, પાણી વગેરે પહોંચાડ્યાં છે. એટલું જ નહીં, તમામ યાત્રિકોની રહેવા-જમવાની વ્યવસ્થા પણ આર્મી કેમ્પ ખાતે કરવામાં આવી છે.વધુ માહિતી માટે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર-ગુજરાત-07923251900નો સંપર્ક જરૂર જણાયે કરી શકાશે, એમ પણ જણાવ્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી