ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ
ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ઉત્સાહભેર ઉજવણી
ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષની દેશ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧ માં બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫ મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો
સુરત સરકીટ હાઉસ ખાતે રમગમત રાજયમંત્રી જયરામ ગામીત, વલસાડના સાંસદ ધવલ પટેલ, ડાંગના ધારાસભ્ય વિજયભાઈ, આદિવાસી મોરચાના પ્રમુખ અર્જુનભાઈની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામોધોગ વિભાગના મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી તા.૧ લી નવેમ્બરથી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને આદિવાસી સમાજને ભેટરૂપે ભગવાન મુંડા ટ્રાયબલ યુનિ.ની ભેટ આપી છે. ભારતના નિર્માણમાં અનેક મહાપુરૂષોનું યોગદાન રહ્યું છે તેમના યોગદાનને નવી પેઢી જાણે તેવા આશયથી વડાપ્રધાને અનેક યોજનાઓ, સ્મારકોનું નિર્માણ તેમજ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.૭ થી ૧૩ નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ ૧,૩૭૮ કિ.મી.ની ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાની ઉત્સાહ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી દ્વારા તા.૭મીએ અંબાજી ખાતેથી આદિજાતિ ગૌરવ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. જયારે વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રીઓ, સાંસદોની ઉપસ્થિતિમાં બીજા રથ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. બન્ને યાત્રાઓનું સમાપન તા.૧૫ મીએ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન થશે.
