વડોદરામાં હરણી બોટકાંડ મુદ્દે જાહેર કાર્યક્રમમાં મહિલાઓએ કર્યા સીએમને સવાલ
દુર્ઘટનાના 469 દિવસ પછી પણ માતા ન્યાય માગવા ઊભી થઈ,
સિક્યોરિટીએ મોઢું દબાવ્યું અને ધક્કા મારીને કાઢી મૂકી
વડોદરા આજવા રોડના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં 1156 કરોડના વિકાસનાં નવીન કામોનો ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓ સામેલ થયા હતા. વિકાસકાર્યોના લોકાર્પણના ચાલુ કાર્યક્રમમાં જ ઊભા થઈને બોટકાંડમાં દીકરી અને દીકરો ગુમાવનારી માતાઓ એવી સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતાં મામલો ગરમાયો
18 જાન્યુઆરી, 2024ની નમતી બપોરે વડોદરાના હરણી તળાવમાં પ્રવાસે નીકળેલાં ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં માસૂમ બાળકો સવાર બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને બે શિક્ષકા મળી 14 જિંદગી ભૂતકાળ બની ગઈ હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મૂકનારી આ ઘટનાને આજે 469 દિવસ થઇ ગયા છે, પણ હજુ પીડિત પરિવારો ન્યાય માટે ઝંખી રહ્યા છે અને ઠેર-ઠેર ઠોકરો ખાઈ રહ્યા છે. ત્યારે બોટકાંડમાં દીકરી અને દીકરો ગુમાવનારી માતાઓ એવી સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ મુખ્યમંત્રી સમક્ષ ન્યાય અંગે રજૂઆત કરતાં મામલો ગરમાયો હતો, જેથી પોલીસે અવાજ દબાવવા માટે મોઢા પર હાથ મૂકી કાર્યક્રમ બહાર કાઢી મૂક્યાં હતાં. તો બીજી તરફ મુખ્યમંત્રીએ પણ કહ્યું- કે તમે પ્રી-પ્લાન અને ખાસ એજન્ડા સાથે આવ્યાં છો.
CMના કાર્યક્રમમાં મૃતક દીકરી રોશનીની માતા સરલા શિંદે અને મૃતક દીકરા વિશ્વ નિઝામની માતા સંધ્યા નિઝામ પહોંચી ગઈ હતી. અહીં બન્ને માતાએ કાર્યક્રમ વચ્ચેથી ભૂપેન્દ્ર પટેલ પાસે ન્યાયની માગ કરી હતી. સાથે તેમને મુખ્યમંત્રીને મળવા ન દેવામાં આવતાની પણ વાત કરી હતી. અહીંથી બન્નેને ધક્કા-મુક્કી સાથે સુરક્ષાકર્મીઓ દ્વારા બહારી કાઢી મૂકવામાં આવી હતી. આ પહેલાં પણ અનેકવાર માતાઓ સરકાર સામે પડી ચૂકી છે.
સંધ્યા નિઝામાના પતિ અને મૃતક વિશ્વ નિઝામાના પિતા કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે મારી પત્નીને ડિટેઇન કરવામાં આવી છે. અમે ગુનેગાર છીએ, કારણ કે અમે બાળકોને ગુમાવ્યાં છે એટલે રિપોર્ટરોને ધક્કા મારીને કાઢે છે આ તંત્ર. 10 વર્ષ જૂનાં મકાનોનું લોકાર્પણ કરવા આવ્યા છે. 30 વર્ષના શાસનમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ ન કર્યો, વડોદરાની જનતા ડૂબી અને કરોડોનું નુકસાન કર્યું એટલે આજે વિશ્વામિત્રી પ્રોજેક્ટ કર્યો, અમને નજરકેદ કરવામાં આવે છે, શું અમે આતંકવાદી છીએ ? ગુનેગાર છીએ ? પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી.
આજવા રોડ પરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહમાં રૂ.1156 કરોડના વિકાસનાં નવીન કામોનો ખાતમુહૂર્ત- લોકાર્પણ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતાં. અહીં મંચ પરથી ભૂપેન્દ્ર પટેલે સંબોધનની શરૂઆત કરતા કહ્યું હતું કે મોદી સરકારમાં વડોદરામાં વિકાસને વેગ મળ્યો છે. ગરીબોને ઘર મળ્યાં છે….આ સમયે લોકોથી ખચોખચ ભરેલા હોલમાં બેસેલા લોકોની વચ્ચેથી કેસરી સાડી પહેરેલી બે મહિલા (સરલા શિંદે અને સંધ્યા નિઝામા) ઊભી થાય છે અને મુખ્યમંત્રીના ચાલુ ભાષણે બોલવાનું શરૂ કરે છે, જેમાં મહિલાઓએ મુખ્યમંત્રીને કહ્યું કે અહીં કોઈ વિકાસ થયો નથી. 10 વર્ષથી આવાસનાં મકાનો ખાલી પડ્યાં છે, અમને તો મળ્યાં નથી. અમને તો હજુ સુધી ન્યાય પણ મળ્યો નથી.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી