તાપી કુકરમુંડાના ખાટીક પાલિયામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
હિંસક અથડામણમાં પથ્થરમારાથી 8 ઘાયલ
સમગ્ર પંથકમાં અંધાધૂંધી અને તણાવનો માહોલ
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા મથકે આવેલા ખાટીક પાલિયા વિસ્તારમાં આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. બે કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારાને કારણે સમગ્ર પંથકમાં અંધાધૂંધી અને તણાવનો માહોલ સર્જાયો હતો. આ હિંસક ઘટનામાં આઠ જેટલા લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, કુકરમુંડાના ખાટીક પાલિયા વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો હિન્દુ અને મુસ્લિ) વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો શરૂ થયો હતો. પથ્થરમારાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અથડામણમાં અંદાજે સાત થી આઠ લોકો લોહીલુહાણ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પથ્થરમારા દરમિયાન રસ્તા પર ઊભેલા વાહનો અને રહેણાંક મકાનોને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોતા તાપી જિલ્લા એસપી (SP) અને ડી વાય એસ પી ઈશ્વર ભાઈ પરમાર ( Dy SP)સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ દ્વારા તોફાની તત્વોની અટકાયત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
