સુરતમાં ગરમી વચ્ચે ટ્રાફિક વિભાગનો નિર્ણય
બપોરના સમયે સિગ્નલ બંધ રાખવા નિર્ણય
બપોરે ૧ થી ૩.૩૦ કલાક સુધી ટ્રાફિક સિગ્નલ બંધ
ગરમીમાં હેલ્મેટના નિયમમાં છૂટછાટ આપવા પણ માગ
સુરત શહેરમાં આજથી એક સપ્તાહ સુધી બપોરે ૧ થી ૩.૩૦ કલાક સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનું સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આકરી ગરમી અને લૂથી વાહનચાલકોને રાહત મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.
સુરત શહેરમાં સૂર્યદેવતા કોપાયમાન થઈ આકરી ગરમી વરસાવી રહ્યા છે. જેના કારણે બપોરે કામકાજ માટે નીકળતી લોકોની હાલત કફોડી બને છે. ૪૦-૪૧ ડિગ્રી ગરમીમાં વાહનચાલકો માટે ગરમી અને લૂ પરેશાની ઊભી કરે છે. એમાં પણ ટ્રાફિક સિગ્નલ ચાલુ હોય ત્યારે આકરી ગરમીમાં વાહનચાલકોએ જ્યાં સુધી તેમના માટે ગ્રીન સિગ્નલ ન મળે ત્યાં સુધી ગરમીમાં શેકાવું પડે છે. આ ઉપરાંત હેલ્મેટને કારણે પણ દ્વિચક્રીય વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવતા હોય છે. આવી પરિસ્થિતિમાં વાહનચાલકોને ઓછામાં ઓછા ટ્રાફિકના સિગ્નલ પર એક જગ્યાએ ઊભું રહેવું પડે તેમાંથી રાહત તે માટે શહેરીજનોમાં લાગણી ઊભી થઈ હતી. જેના પગલે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સુરત શહેરમાં આગામી એક સપ્તાહ સુધી ટ્રાફિક પોઈન્ટ પર બપોરે ૧ થી ૩.૩૦ કલાક સુધી સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાએ આકરી ગરમીમાં હેલ્મેટના નિયમમાં છૂટછાટ આપવા પણ માગ કરી હતી.