સ્વાદપ્રિય સુરતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો
પનીર, ચીઝ, ઘી સહિતના છ જેટલા નમુના લેબોરેટરીમાં ફેલ
સુરતની 6 પેઢીઓના નમૂના ફેલ ગયા
સ્વાદપ્રિય સુરતીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામેઆવ્યો છે. સુરત આરોગ્ય વિભાગે પનીર, ચીઝ, ઘી સહિતના છ જેટલા નમુના લેબોરેટરીમાં મોકલ્યા હતા જે તમામ ફેલ આવ્યા છે.
સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગે શહેરમાં ચાલતા ભેળસેળના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી લેવાયેલા પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના 6 જેટલા નમૂનાઓ લેબોરેટરી ટેસ્ટમાં ફેલ આવ્યા છે. જે 6 પેઢીઓના નમૂના ફેલ ગયા તેમાં એચ.એલ. ફ્રોઝન ફૂડમાં કાલ્ડો એન્ડ ફ્રાઈડ પ્રોસેસ્ડ ચીઝ એનાલોગનો નમૂનો નિષ્ફળ આવ્યો છે. તો ગોડાદરાની શિવ ધર્મરાજ ડેરીમાં નોન-બ્રાન્ડેડ ચીઝ એનાલોગનો નમૂનો ફેલ આવ્યો છે. જ્યારે ઉધનાની એસ.પી. માર્કેટિંગમાં શ્રી વલ્લભ દેસી ઘી-મેડ ફ્રોમ કાઉ મિલ્કના નામે વેચાતું ઘી અખાદ્ય હોવાનુ અને ખટોદરાની જય ગાયત્રી ડેરી પ્રોડક્ટના ઘીના સેમ્પલ ફેલ આવ્યા છે. જ્યારે નાનપુરાની ઈન્ડિયા ડેરીના ઘીમાં ભેળસેળ હોવાનુ તો મોટા વરાછાના ક્રિશ્ના ટાઉનશીપમાં આવેલ ઘી પેલેસમાં ભેંસના ઘીનો સેમ્પલ ફેલ આવ્યા છે. સુરત મનપાની ટીમે શંકાસ્પદ જણાતો આશરે 33 કિલોગ્રામ જેટલો ચીઝ એનાલોગનો જથ્થો પણ સીઝ કર્યો છે. હાલ તો મનપાની ટીમે અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે. જ્યારે ફેલ જાહેર થયેલા નમૂનાઓ મામલે જવાબદાર ઈસમો અને સંસ્થાઓ સામે મ્યુનિસિપલ કોર્ટ, સુરતમાં ફોજદારી રાહે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.
