સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સ્મશાન ગૃહેથી લાશ પાર્ટ લાવ્યા
હોસ્પિટલના સહી સિક્કાના અભાવે અંતિમ સંસ્કાર અટક્યા
કહ્યું ડોક્ટરે સહી-સિક્કા માંગતા અમે ફરી હોસ્પિટલ આવ્યા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પરિવાર સ્મશાન ગૃહેથી મડદાંને લઈ આવ્યા હતાં. હોસ્પિટલના સહી સિક્કાના અભાવે અંતિમ સંસ્કાર અટક્યા હતાં. જેથી મૃતદેહને સિવિલમાં લઈ જવાયો હતો.
વાત એમ છે કે વાલક નગર આશાપુરી ખાતે રહેતા અને કડિયાકામ કરતા રામદેવ કુમાર યાદવના પત્ની 53 વર્ષિય જગમનીયા દેવીનું શુક્રવારે રાત્રે 12 વાગ્યાના અરસામાં અવસાન થયું હતું. શનિવારે સવારે 11 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈને ઉમરા સ્મશાનગૃહે પહોંચ્યા હતા. જોકે, બપોરે 1 વાગ્યે તેમને જાણ કરવામાં આવી કે સારવારના પેપર્સ પર સિવિલ હોસ્પિટલના જરૂરી સહી-સિક્કા નથી, જેના વિના અંતિમ સંસ્કારની વિધિ થઈ શકે નહીં. પરિવારને ખ્યાલ નહોતો કે ઘરે મૃત્યુ થયું હોય અને સારવાર હોસ્પિટલમાં ચાલતી હોય ત્યારે પણ હોસ્પિટલમાંથી સહી-સિક્કાવાળા કાગળ કરાવવા અનિવાર્ય છે. અંતે, બપોરે 4 વાગ્યે રામદેવ કુમાર પત્નીનો મૃતદેહ લઈ ફરી નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જેથી પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. મૃતક જગમનીયા દેવી મૂળ બિહારના વતની હતા અને 25 વર્ષથી સુરતમાં સ્થાયી થયા હતા. તેમના લગ્નની પૃષ્ઠભૂમિ પણ લાગણીસભર છે.
જગમનીયા દેવી રામદેવના મોટા ભાઈના પત્ની હતા, પરંતુ ભાઈના અવસાન બાદ રામદેવે તેમને અપનાવી લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે. તો રામદેવ કુમારે જણાવ્યું હતું કે, મારી પત્નીને હાથ-પગમાં સોજા આવતા 10 દિવસ પહેલા સિવિલમાં દાખલ કરી હતી. ગયા શનિવારે રજા આપી હતી, પણ ફરી તબિયત બગડતા ઘરે જ મૃત્યુ થયું. અમને એમ કે હોસ્પિટલના જૂના કાગળ ચાલશે, એટલે અમે સીધા સ્મશાન ગયા હતા. પણ ત્યાં ડોક્ટરે સહી-સિક્કા માંગતા અમે ફરી હોસ્પિટલ આવ્યા હતાં.
