દરિયાકાંઠાના ગામડાઓમાં માવઠાથી કેસર કેરીના પાક ભારે નુકસાન
માવઠા અને ભારે પવનના કારણે 60 ટકાથી વધુ કાચી કેરીનો ફાલ ખરી પડ્યો
ખેડૂતો માટે આ માવઠું આશીર્વાદને બદલે આફત બનીને આવ્યું
ભાવનગર સહિતના જિલ્લામાં ગઈકાલે અચાનક વાતાવરણ બદલાતા અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભાવનગર પંથકમાં બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તેજ પવન સાથેના કમોસમી વરસાદે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો માટે આ માવઠું આશીર્વાદને બદલે આફત બનીને આવ્યું છે.
ભારે પવન ફૂંકાવાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, જેનાથી ગુણવત્તા અને ઉત્પાદન બંને પર માઠી અસર પડશે. ભાવનગર પંથકની પ્રખ્યાત કેસર કેરીના બગીચાઓમાં અત્યારે નુકસાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોની વર્ષભરની મહેનત પર પાણી ફરી વળતા બાગાયતદારો ચિંતાતૂર બન્યા છે. માત્ર બાગાયતી પાક જ નહીં, પરંતુ ખેતરમાં ઉભેલા જુવાર અને બાજરી જેવા ઉનાળુ પાકને પણ ભારે નુકસાન થયું છે. તૈયાર પાક લણણીના સમયે જ પલળી જતાં ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિક ખેડૂતોની માગ છે કે સરકાર તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરાવીને યોગ્ય વળતર અથવા સહાય જાહેર કરે.
ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક કમોસમી વરસાદ નોંધાયો છે. રાજ્યના અંદાજે 121 જેટલા તાલુકાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે માવઠું પડ્યું છે, જેના કારણે ખેતીવાડી અને જનજીવન પર માઠી અસર પડી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના બગસરામાં સૌથી વધુ પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
