જામનગરમાં તંત્રની ખસીકરણની કામગીરી સામે ઉઠ્યા સવાલ.
ખસીકરણ બાદ શ્વાનને પૂરતું ભોજન કે પાણી ન મળતું હોવાના આક્ષેપ.
4 જૂનની રાત્રે ‘લાલ બંગલા સર્કલ’ ખાતે સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા
જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બા ખાતે આવેલા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં શ્વાનો પ્રત્યે લાપરવાહી અને ક્રૂરતા આચરવામાં આવતી હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
મૂંગા પશુઓની આ દયનીય સ્થિતિ સામે આક્રોશ વ્યક્ત કરવા જામનગરના જીવદયાપ્રેમી યુવાનોએ 4 જૂનની રાત્રે ‘લાલ બંગલા સર્કલ’ ખાતે એકઠા થઈને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધરણાં કર્યા હતા. યુવાનોએ “પ્રાણીઓ પર અત્યાચાર બંધ કરો” અને “આવારા નહીં હમારા હૈ” ના નારા લગાવીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક પશુપ્રેમીઓએ જ્યારે કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા. ભારે વિનંતી બાદ અંદર પહોંચેલા યુવાનોએ હિડન કેમેરાથી ત્યાંની ભયાનક વાસ્તવિકતા બહાર આણી હતી. કેન્દ્ર પર છેલ્લા 15 દિવસથી પાણીની મોટર ખરાબ હોવાથી શ્વાનો માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી. ભયાનક ગરમી છતાં તેમને પાણી મળતું નથી. ગટરોમાં 10 દિવસથી ટોઇલેટ જામી ગયું હોવાથી અસહ્ય દુર્ગંધ મારી રહી છે.
100 થી વધુ શ્વાનોને જમાડવા માટે માત્ર 10 લીટર પાણી મિક્સ કરેલી છાસ આપવામાં આવે છે, જેથી કૂતરાઓ માત્ર કોરા ભાત ખાવા મજબૂર બન્યા છે. અહીં 24 કલાક કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર હાજર રહેતા નથી. અઠવાડિયામાં માત્ર એક જ વાર બહારગામથી સર્જન આવીને સામૂહિક ઓપરેશન કરી ચાલ્યા જાય છે. યોગ્ય સારવાર અને એન્ટીબાયોટીકના અભાવે ઓપરેશન બાદ શ્વાનોના અંગો સોજી ગયા છે. ‘વનરૂફ એનિમલ કેર’ ના મહિલા કાર્યકર ગોસાઈ કલ્પના અને અન્ય પશુપ્રેમીઓએ આક્ષેપ કર્યો છે કે, આ કામગીરી જે સંસ્થાને સોંપાઈ છે તે અગાઉ 4 થી 5 જગ્યાએથી ‘બ્લેકલિસ્ટ’ થયેલી છે. આ સંસ્થા પાસે સેન્ટર ઓપરેટ કરવાની કોઈ સત્તાવાર મંજૂરી જ નથી, છતાં ગેરકાયદેસર રીતે હલકી કક્ષાના દોરા વાપરીને ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે જેનાથી પશુઓના મોત નીપજે છે. યુવાનોએ માંગ કરી છે કે જ્યાં સુધી પશુઓ સંપૂર્ણ સાજા ન થાય ત્યાં સુધી તેમની પૂરી સારસંભાળ રાખવામાં આવે અને પશુઓ પરના અત્યાચાર તાકીદે બંધ થાય…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
