સુરતમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજ મુદ્દે રાજકારણ ગરમાયું
ત્રણ વર્ષથી બજેટમાં સમાવિષ્ટ બ્રિજના વિરોધને લઈને સવાલો
બ્રિજના વિરોધ સામે ધારાસભ્ય કિશોર કાનાણી આક્રમક મૂડમાં
સુરત શહેરમાં અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજના મુદ્દે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. છેલ્લા ત્રણ વર્ષથી બજેટમાં સામેલ આ બ્રિજના વિરોધને લઈને ધારાસભ્ય કિશોર કાનાણી આક્રમક મૂડમાં જોવા મળ્યા છે.
સુરતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય કિશોર કાનાણીએ મેયરને પત્ર લખીને અશ્વિનીકુમાર ઉત્રાણ બ્રિજના વિરોધ સામે સવાલો ઉઠાવ્યા છે. કાનાણીના જણાવ્યા પ્રમાણે આ બ્રિજ બનવાથી વરાછા, મોટા વરાછા અને ઉત્રાણના લાખો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળી શકે છે. કતારગામના કોર્પોરેટર ભુપેન્દ્ર રાઠોડ દ્વારા બ્રિજના ખર્ચ સહિતના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો વચ્ચે કાનાણીએ સીધો સવાલ કર્યો છે કે, વરાછાના લોકોને શું જોઈએ તે કતારગામના કોર્પોરેટરે નક્કી કરવાની જરૂર નથી, અમે નક્કી કરીશું. કાનાણીએ વધુમાં કતારગામ વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા રિઝર્વેશન વિવાદ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કોઈના ઈશારે કોર્પોરેટર દ્વારા બ્રિજનો વિરોધ થઈ રહ્યો હોવાની આશંકા વ્યક્ત કરી છે. જોકે, આ તમામ આક્ષેપો અંગે કોર્પોરેટર ભુપેન્દ્ર રાઠોડનો પક્ષ પણ મહત્વનો રહેશે. બ્રિજના ખર્ચ અને વિરોધ પાછળના કારણોને લઈને હવે સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો વધ્યો છે.
