બોડેલીની ઓરસંગ નદી પરનો બ્રિજ જર્જરિત
જર્જરિત હાલતમાં બ્રીજથી વાહન ચાલકોમાં ભારે હાલાકી
નદી પર નવો બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી
બોડેલી નજીક ઓરસંગ નદી પરનો આશરે એક કિલોમીટર લાંબો બ્રિજ જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્વારા નદી પર નવો બ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.
બોડેલી નજીક ઓરસંગ નદી પર બ્રિજના કાંગરા ખરવા લાગ્યા છે અને તેનો માર્ગ પણ ખખડધજ બન્યો છે. બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ઘણા બાઇકચાલકો ખાડાને કારણે પડી ગયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. દિવસ-રાત સતત વાહનોની અવરજવર વચ્ચે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. વાહનચાલકોના મતે, આ બ્રિજનું વહેલી તકે સમારકામ થાય અથવા નવો બ્રિજ બનાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
નોંધનીય છે કે, 1990માં ભારે પૂરને કારણે ઓરસંગ બ્રિજ તૂટી ગયો હતો. ત્યારબાદ અડધા બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે તે અડધો જૂનો અને અડધો નવો દેખાતો હતો. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી આ બ્રિજ સંપૂર્ણપણે જર્જરિત બન્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
