સુરતમાં રોગચાળામાં એક માસૂમનું મોત
લિંબાયત વિસ્તારમાં ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ
6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોક
સુરતમાં રોગચાળામાં એક માસૂમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. લિંબાયત વિસ્તારમાં ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ બાદ 6 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનેનનું ઝાડા-ઉલટી થવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. વાત એમ છે કે ગત રાત્રે હસનેનને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેને તાવ આવવા લાગ્યો હતો. પરિવારજનોએ વહેલી સવારે બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે તબિયત વધુ બગડતા તેને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ તપાસ બાદ હસનેનને મૃત જાહેર કર્યો હતો. મૃતક હસનેનના પિતા ચાની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં માતા-પિતા, હસનેન અને તેની એક નાની બહેનનો સમાવેશ થાય છે. નાનકડા બાળકના અચાનક કરુણ મોતથી સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.
