સુરત મનપા દ્વારા સીંગણપોર વિસ્તારમાં સવાલો ઉભી કરતી કાર્યવાહી
ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાના ફ્લેટમાં ગેરકાયદે બાંધકામ
કાર્યવાહી કર્યા બાદ માત્ર બે કલાકમાં જ જપ્ત કરાયેલા પતરા પરત મૂકયા
સુરત મનપા દ્વારા સીંગણપોર વિસ્તારમાં ભાજપના રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જેબલિયાના ફ્લેટમાં થયેલા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કર્યા બાદ માત્ર બે કલાકમાં જ જપ્ત કરાયેલા પતરા પરત મૂકી દેવામાં આવતા સવાલો ઉભા થયા છે.
સુરતના સીંગણપોર ગામ સ્થિત કૃપા રેસીડેન્સીના ફ્લેટ નંબર 104 ખાતે થયેલા ગેરકાયદે પતરાના બાંધકામ સામે કતારગામ ઝોનના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ સ્થળ પર પહોંચી ઉત્સાહભેર ગેરકાયદે બાંધકામના પતરા દૂર કરી જપ્ત કર્યા હતાં. પરંતુ સમગ્ર ઘટનાક્રમે નાટકીય વળાંક ત્યારે લીધો જ્યારે કાર્યવાહી બાદ માત્ર બે જ કલાકમાં હટાવવામાં આવેલા તમામ પતરા ફરી એ જ જગ્યાએ મૂકી દેવામાં આવ્યા હતાં. આ ઘટનાએ મનપાની કામગીરી અને તેની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
