સુરતમાં બે દિવસીય ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમ’નું સમાપન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં બે દિવસીય ‘બિગ હેરી ઓડેશિયસ ફોરમ’નું સમાપન
ફેન્સ સાથેનો ‘ઈમોશનલ કનેક્શન’ જ સ્ટારડમની સાચી તાકાત
પાણી બચાવવા ઘર-ઓફિસમાં રેન વોટર હાર્વેસ્ટિંગ અપનાવો

સુરતની મેરિયટ હોટેલમાં કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય મંચ બિગ હેરી ઓડેશિયસ ફોરમનું શનિવારે સમાપન થયું. તારીખ 13 અને 14 માર્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના સફળ ઉદ્યોગપતિઓ, સ્થાપકો અને બિઝનેસ લીડર્સ એકત્ર થયા અને નેતૃત્વ, ઉદ્યોગસાહસિકતા તથા ભવિષ્યના બિઝનેસ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

સુરતની મેરિયટ હોટેલમાં કોર્પોરેટ કનેક્શન્સ ઈન્ડિયા કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ પણ પોતાના અનુભવ અને વિચારો રજૂ કર્યા હતા. બંને વક્તાઓએ જુદા-જુદા વિષયો પર પ્રેરણાદાયક સંદેશ આપ્યા હતા. અર્જુન કપૂરે લોકો સાથે ભાવનાત્મક જોડાણને સફળતાની ચાવી ગણાવી, જ્યારે સી.આર.પાટીલએ પાણી બચાવવાનું ભવિષ્ય માટે અત્યંત જરૂરી હોવાનું જણાવ્યું હતું. અર્જુન કપૂરે પોતાના અનુભવ શેર કરતા કહ્યું કે કોઈપણ કલાકાર માટે તેની સાચી શક્તિ તેના ચાહકો સાથે બનતું ભાવનાત્મક જોડાણ છે. તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે તે જ દિવસે સુરત રેલવે સ્ટેશન પર તેમણે કેટલાક બાળકો સાથે ફોટા પાડ્યા અને લોકો સાથે મુલાકાત કરી. દરેક વ્યક્તિ તેમની દરેક ફિલ્મ નથી જોતો, પરંતુ ક્યારેક કોઈ ફિલ્મ જોતી વખતે તે પળ યાદ આવે છે જ્યારે તેણે તેમની સાથે ફોટો લીધો હતો. આ રીતે એક નાનું ક્ષણ પણ ફેન સાથે જીવનભરનો સંબંધ બનાવી દે છે. દરેક વ્યક્તિ સાથે ફોટો લેવું હંમેશા શક્ય નથી, કારણ કે સમય મર્યાદિત હોય છે. ક્યારેક દસ લોકોને ફોટો આપી શકાય છે પરંતુ અગિયારમા વ્યક્તિને સમય ન મળે, ત્યારે તે વ્યક્તિ નારાજ થઈ શકે છે. આ સ્થિતિ કલાકાર માટે પણ મુશ્કેલ બને છે.

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલએ પોતાના સંબોધનમાં જળ સંરક્ષણ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે શહેરોમાં રહેતા લોકો દરરોજ સરેરાશ 135 લિટર પાણી પ્રતિ વ્યક્તિ વાપરે છે. એક પરિવાર વર્ષમાં લગભગ દોઢથી બે લાખ લિટર પાણીનો ઉપયોગ કરે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો આજે જ બધું પાણી વાપરી લેવાશે તો આવનારી પેઢીને શું મળશે? તેમણે માહિતી આપી કે દેશમાં દર વર્ષે લગભગ 4000 એમસીએમ જેટલો વરસાદ પડે છે, જ્યારે જરૂરિયાત લગભગ 1120 એમસીએમ જેટલી છે. છતાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 750 એમસીએમ છે, જેના કારણે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરવો પડે છે અને પાણીનો સ્તર નીચે જતો રહે છે. પાટીલએ ઉદ્યોગપતિઓને અપીલ કરી કે તેઓ પોતાના ઘર, ઓફિસ અથવા ફેક્ટરીમાં રેન વોટર હાર્વેસ્ટિંગની વ્યવસ્થા જરૂર બનાવે. ઓછા ખર્ચમાં આ વ્યવસ્થા થઈ શકે છે અને તે જમીનમાં પાણીનું સ્તર વધારવામાં મદદરૂપ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *