બારડોલીના ઇસરોલીમાં મિઢોળા નદીમાં ડૂબ્યા યુવકો
ધુળેટીના દિવસે નદીમાં નાહવા પડેલા 5 યુવકો ડૂબ્યા
બારડોલીમાં ધુળેટીનો ઉત્સવ માતમમાં ફેરવાયો
મીંઢોળા નદીમાં ડૂબી જવાથી ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મોત
હોળી-ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણી વચ્ચે બારડોલીના ઇશરોલી ગામની સીમમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. મિત્રો સાથે ધુળેટી રમીને મીંઢોળા નદીમાં નહાવા પડેલા ચાર યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ અંતે ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
મળતી માહિતી મુજબ, બાબેન ગામની સાંઈ આશિષ રેસીડન્સી અને આસપાસની સોસાયટીમાં રહેતા મિત્રો ધુળેટી પર્વની ઉજવણી કરવા માટે બપોરના સમયે ભેગા થયા હતા. બાબેન તળાવ પાસે રંગે રમ્યા બાદ તમામ મિત્રો ફોર વ્હીલર અને મોટરસાયકલ લઈને ઇશરોલી ગામની સીમમાં અલનુર સોસાયટી પાછળ આવેલા મીંઢોળા નદીના ઓવારે નહાવા માટે ગયા હતા. બપોરના આશરે ૨:૩૦ થી ૩:૦૦ વાગ્યાના અરસામાં નહાતી વખતે અચાનક ચાર મિત્રો પાણીના પ્રવાહમાં ખેંચાવા લાગ્યા હતા. ત્યાં હાજર અન્ય લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોતજોતામાં ચારેય યુવાનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની સઘન શોધખોળ બાદ નદીમાંથી નીચે મુજબના ચારેય મિત્રોના મૃતદેહ મળી આવ્યા છે.૧. ભુમીત દીપકભાઈ મિસ્ત્રી (ઉ.વ. ૨૪): રહે. ડ્રીમ હાઇટ્સ, ગાંધીરોડ, બારડોલી (નોકરીયાત).
૨. અભિષેક ઈશ્વરભાઈ ચૌધરી (ઉ.વ. ૨૧): રહે. સુકન રેસીડન્સી, બાબેન (વિદ્યાર્થી).
૩. કેશવ ઉર્ફે સાગર પાંડુરંગ સોનવણે (ઉ.વ. ૨૧): રહે. સાંઈ આશિષ રેસીડન્સી, બાબેન (ફાર્મસીનો વિદ્યાર્થી).
૪. નીલસિંહ દિલીપસિંહ સોલંકી: જેમની શોધખોળ ચાલુ હતી, તેમનો મૃતદેહ પણ અંતે મળી આવ્યો છે.
આ ઘટના અંગે દર્શનસિંહ દિલીપસિંહ સોલંકીએ બારડોલી ટાઉન પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પીએસઆઈ ડી.કે. ચૌધરી આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે…
