કેસનો નિકાલ કરવા માટે સુરતની કોર્ટ દ્વારા પહેલ
ડીજીવીસીએલના બાકી નાણા અને વ્યાજ માફી
કેસનો નિકાલ કરવા કોર્ટ જાતે જ પક્ષકારોના દરવાજે જશે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમીટેડ (ડીજીવીસીએલ) ના બાકી નાણા અને વ્યાજ માફી કરીને કેસનો નિકાલ કરવા માટે સુરતની કોર્ટ દ્વારા પહેલ કરવામાં આવી છે. અત્યાર સુધી પક્ષકારોએ કોર્ટના દરવાજે આવવું પડતું હતું પરંતુ કેસનો નિકાલ કરવા કોર્ટ જાતે જ પક્ષકારોના દરવાજે જશે.
સુરત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના જણાવ્યા પ્રમાણે સુરત મનપા, ડીજીવીસીએલના સહયોગથી તા. ૯ ડિસેમ્બરે-૨૦૨૫ના રોજ વહેલી સવારે સાડા આઠ વાગ્યાથી કોસાડ આવાસમાં વસવાટ કરતા લોકો માટે લોક-અદાલતનું પ્રિ-કન્સીલેશનનું આયોજન કરાયું છે. લગભગ સમગ્ર ગુજરાતમાં આવી સૌપ્રથમવાર પહેલ કરવામાં આવી છે કે જેમાં કોર્ટના સ્ટાફ દ્વારા જે-તે વિસ્તારમાં જઈને કેસોનો નિકાલ કરાયો હોય. અત્યાર સુધીમાં મોબાઇલ વાન ચાલતી હતી, પરંતુ આ વખતે એક કેમ્પ જ રાખીને કેસનો નિકાલ થશે.
આ ઘટનાને સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ રાહુલકુમાર ત્રિવેદીએ ઐતિહાસિક પહેલ પણ ગણાવી હતી. વીજ ચોરીના અનેક કેસો વર્ષોથી પેન્ડીંગ હતા, જેમાં ક્યારેક અધિકારીઓ ગેરહાજર રહેતા હતા તો ક્યારેક પક્ષકાર ગેરહાજર રહેતા હતા. આ કારણે કેસમાં વારંવાર ટ્રાયલ લંબાતી હતી. આખરે કોર્ટે જ ડીજીવીસીએલ, મનપાના અધિકારીઓ તેમજ કોર્ટમાંથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર.કે.ત્રિવેદી, મીડિએશનના સચીવ ડી.આર.જોષી, મીડિએટર આઈ.પી. જોબનપુત્રા તેમજ અન્ય સ્ટાફ હાજર રહેશે.
