ઉચ્છલના દેવચાંદની ગામમાં રેશનિંગ કૌભાંડની બૂમ
ગરીબોના અનાજમાં કોણ કરી રહ્યું છે ‘કટકી’,
5 કિલો ઓછું અનાજ મળતા હોબાળો
સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે, પરંતુ ઉચ્છલ તાલુકાના દેવચાંદની ગામમાં આ સરકારી યોજનામાં મોટું ગાબડું પડતું હોય તેમ દેખાઈ રહ્યું છે. ગામમાં બિપિનભાઈ દ્વારાચલાવવામાં આવતી સસ્તા અનાજની દુકાન (કંટ્રોલ) પર ગ્રાહકોને આપવામાં આવતા અનાજમાં મોટા પાયે ઓછું વજન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. શું છે સમગ્ર મામલો જુઓ અમારા રિપોર્ટમાં
દેવચાંદની ગામના એક જાગૃત નાગરિકને જ્યારે અનાજ આપવામાં આવ્યું, ત્યારે તેમને વજનમાં શંકા ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ કરતા જાણવા મળ્યું કે મળવાપાત્ર જથ્થા કરતા 5 કિલો અનાજ ઓછું આપવામાં આવ્યું હતું. શંકા જતાં જ્યારે ફરીથી બીજા ત્રાજવા પર વજન કરી તપાસ કરવામાં આવી, ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું હતું; વજન ખરેખર ઓછું જ નીકળ્યું હતું. શું આ વ્યવસ્થિત કૌભાંડ છે ? આ ઘટના બાદ ગ્રામજનોમાં અનેક સવાલો ઉભા થયા છે: જો એક ગ્રાહકને 5 કિલો અનાજ ઓછું મળતું હોય, તો આખા ગામના કેટલા લોકો સાથે આવું થતું હશે ? શું બીજી પણ કંટોલમાં આવી જ રીતે કટકી કરી ગ્રામજનો સાથે છેતરપિંડી કરી અન્યાય કરવામાં આવે છે
ગરીબ જનતાના મોં માંથી કોળિયો છીનવીને થતી આ ‘કટકી’ પાછળ કોણ જવાબદાર છે ? શું સરકારી તંત્રના અધિકારીઓ આ બાબતે અજાણ છે કે પછી મૌન સેવી રહ્યા છે ? તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે, સરકાર એક તરફ ‘અંત્યોદય’ની વાતો કરે છે, ત્યારે બીજી તરફ છેવાડાના માનવી સુધી પહોંચતા અનાજમાં આ પ્રકારે થતી ચોરી એ માનવતા વિરુદ્ધનો ગુનો છે. દેવચાંદની ગ્રામજનો હવે માગ કરી રહ્યા છે કે આ બાબતે પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર સંચાલક સામે કડક પગલાં ભરી તેનું લાયસન્સ રદ કરવામાં આવે…
