અમરેલીના ખેડૂતો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થશે
ધારી વિસ્તારોમાં બદલાતા વાતાવરણની સીધી અસર
દિવસ અને રાતના તાપમાનમાં મોટા તફાવત અને ઝાકળ
આ ઉનાળે કેરીના ભાવ વધી શકે છે. કારણ કે બદલાતું વાતાવરણ, ઝાકળ અને ધુમ્મસના કારણે આંબાના મોરમાં ભૂકીછારો અને મધ્યો નામનો રોગ વકરી રહ્યો છે. જેને કારણે અમરેલીના ખેડૂતો કેરીના ઉત્પાદનમાં ઘટાડો થશે એવું માની રહ્યા છે.
ખાસ કરીને અમરેલી જિલ્લાના ધારી તાલુકા અને આસપાસના ગીર પંથકમાં કેસર કેરીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ વર્ષે આંબાના ઝાડ પર સામાન્ય કરતાં વહેલું અને સારું ફ્લાવરિંગ થયું હતું, જેના કારણે ખેડૂતોમાં ઉત્તમ પાકની આશા જાગી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી હવામાનમાં અચાનક થયેલા ફેરફારોએ આ આશા પર પાણી ફેરવી દીધું છે. ઝાકળ અને ધુમ્મસને કારણે આંબાના ફ્લાવરિંગને ભારે નુકસાન થયું છે. કેસર કેરીના ફ્લાવરિંગમાં “ભૂકીછારો” નામનો રોગ ફેલાયો છે, જેનાથી ફ્લાવરિંગ બળીને કાળું પડી રહ્યું છે. દિતલા ગામના ખેડૂત ઉકાભાઈ ભટ્ટીએ જણાવ્યું કે, આ વર્ષે જ આવું બન્યું છે, અગાઉ આવું ક્યારેક નથી બન્યું. દિવાળી ઉપર વરસાદ પડવાના કારણે વાતાવરણ ઠંડુ થયું છે આંબાને કેસરને જે ગરમી જોઈએ જે ભાદરવા મહિનામાં ઋતુ હોય તે ગરમી પડી નહિ અને વાતાવરણ ઠંડુ થવાના કારણે જે ફાલ આવવો જોઈએ તે આવ્યો નહીં. જે ફાલ આવ્યો છે જે અત્યારે વાતાવરણમાં ઝાકળ વધારે આવે છે જેના કારણે મોર બળી જાય છે અને ભૂકીછાળ નામનો રોગ બહું આવે છે જેના કારણે તે ફાલ પણ ઓછો થશે.
અગાઉ પડેલા કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડું થઈ ગયું હતું. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં આંબાના ઝાડને ગરમીની જરૂરિયાત હોય છે, પરંતુ વરસાદ અને ઠંડકના કારણે તેની નકારાત્મક અસર હાલ ફ્લાવરિંગ પર પડી રહી છે. આ પરિસ્થિતિને કારણે, શરૂઆતમાં સારું ફ્લાવરિંગ હોવા છતાં, ચાલુ સીઝનમાં કેરીનો ઉતારો ઓછો આવશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે, જેનાથી બાગાયતી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
