તાપીના આદિવાસી પટ્ટામાં સિંચાઈની નવી ક્રાંતિ
CM ભૂપેન્દ્ર પટેલે આપી ૧૬૦૦ કરોડના વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ
તાપી જિલ્લાના ખેડૂતો માટે આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા તાપી જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો માટે અંદાજિત ૧૬૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર અને
તૈયાર થયેલ વિવિધ સિંચાઈ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું છે. આ યોજનાઓથી તાપીના ઉંચાઈવાળા અને પથરાળ વિસ્તારોમાં હવે ઉકાઈના નીર પહોંચશે, જે ખેતી અને પશુપાલન ક્ષેત્રે સમૃદ્ધિના દ્વાર ખોલશે. ગુજરાતનાં મુખ્યમંત્રીએ ઉચ્છલના બાબરઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ૯૬૨.૧૨ કરોડની ‘સોનગઢ-ઉચ્છલ-નિઝર-કુકરમુંડા ઉદવહન સિંચાઈ યોજના’નું લોકાર્પણ કર્યું હતું. આ યોજનાની ખાસિયત એ છે કે ઇજનેરી કૌશલ્યના ઉપયોગથી ઉકાઈ જળાશયનું પાણી પાઇપલાઇન દ્વારા ઉંચાઈવાળા વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. જેનાથી ૧૩૬ ગામોની ૨૮,૦૦૦ હેક્ટર જમીન સિંચાઈ સુવિધાથી સજ્જ થશે. ભવિષ્યના આયોજનના ભાગરૂપે તાપી નદીના વધારાના પાણીનો સંગ્રહ કરવા માટે ૬૫૧.૩૭ કરોડના ખર્ચે સાકાર થનારી ‘બોરીસાવર ઉદવહન સિંચાઈ યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજના પૂર્ણ થતા સોનગઢ અને વ્યારા તાલુકાના ૨૯ ગામોની ૮ હજાર હેક્ટર જમીનને સીધો ફાયદો થશે. આ પ્રસંગે ઉચ્છલ ખાતે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ડૉ.જયરામ ગામીત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ શાસ્ત્રોક્ત વિધિ સાથે તાપી મૈયાના નીરના વધામણા કર્યા હતા અને જણાવ્યું હતું કે, “સરકાર છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા કટિબદ્ધ છે.”
