ગુજરાતના ૧૫ હજારથી વધુ ખેડૂતોની 40 લાખ હેક્ટરનો પાક નાશ
જમીનમાં ઊભો પાક કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત
રાજયના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ લીધી મુલાકાત
ભૂતકાળમાં ક્યારેય ઊભી ન થઈ હોય એવી અસાધારણ અને વિકટ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે રાજ્યના ૧૫ હજારથી વધુ ખેડૂતોની ૪૦ લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં ઊભો પાક કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત થયો છે એમ રાજયના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
બારડોલી તાલુકાના સમથાણ ગામે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો સાથે મુલાકાત કરી સંવાદ કરતાં મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માથે આવી પડેલી કુદરતી આફતમાં સરકાર રાજ્યના ખેડૂતોની પડખે જ છે. સરકાર તમારી પરિસ્થિતિથી બિલકુલ અજાણ નથી માટે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમને તમારી મુલાકાત માટે મોકલ્યા છે એમ કહી તેમણે સર્વેમાં સમય ન વેડફાય તે માટે પંચ રોજકામ કરીને નુકસાનીનો અંદાજ મેળવવામાં આવી રહ્યો છે, રાજ્ય સરકાર દ્વારા ખુબ ઝડપથી ખેડૂતોને યોગ્ય વળતર આપી પૂરેપૂરી મદદ કરશે એમ વધુમાં જણાવ્યું હતું બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે કૃષિમંત્રીને આ વિસ્તારના ખેડૂતો દ્વારા લેવામાં આવતા કૃષિ પાકો અંગે અવગત કર્યા હતા. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ મંત્રીને જરૂરી વિગતોની જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને કારણે અસરગ્રસ્ત સુરત જિલ્લાના ૫૯૬ ગામોના પંચ રોજકામની કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા પૂર્ણ કરી અહેવાલ સરકારશ્રીને મોકલી આપવામાં આવ્યો છે. કૃષિ મંત્રીના મુલાકાત વેળાએ તેમની સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, પ્રાંત અધિકારી કૌશિક જાદવ, જિલ્લા ખેતીવાડી અધિકારી સતીશ ગામીત, નાયબ ખેતી નિયામક એન.જી.ગામીત, ખેડૂતો, પદાધિકારીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં
