સુરત કામરેજના ખોલવડ ખાતે દિનબંધુ હોસ્પિટલમાં લોકાર્પણ
સુવિધાઓનું કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલના હસ્તે લોકાર્પણ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ખાતે આવેલી દિનબંધુ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમના હસ્તે હોસ્પિટલની વિવિધ અત્યાધુનિક તબીબી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ડીન ડૉ.આભા ગોયાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સુરત કામરેજના ખોલવડ ખાતે દિનબંધુ હોસ્પિટલમાં લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા સી.આર.પાટીલે માર્મિક રીતે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે આપણે દરેક જગ્યાએ ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા આપતા હોઈએ છીએ, પરંતુ હોસ્પિટલ એ એવી જગ્યા છે જ્યાં આપણે એવી શુભેચ્છા ન આપી શકીએ કે તમારા ત્યાં દર્દીઓની સંખ્યા વધે. પરંતુ અમે એટલી શુભેચ્છા ચોક્કસ આપી શકીએ કે જે પણ દર્દી અહીં આવે, તે હોસ્પિટલની શ્રેષ્ઠ સેવાનો લાભ લઈ સંપૂર્ણપણે સાજો થઈને પોતાના ઘરે પરત ફરે. તેમણે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટની કામગીરીને બિરદાવતા ઉમેર્યું હતું કે, આ હોસ્પિટલ સેવાનું માધ્યમ છે, કોમર્શિયલ સંસ્થા નથી તે ખૂબ જ ઉમદા બાબત છે. આવી સેવાકીય હોસ્પિટલમાં કામ કરવું એ ગર્વની વાત છે.
દાનના મહિમા વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, દાન હંમેશા એવી રીતે કરવું જોઈએ કે ડાબા હાથથી કરેલા દાનની જમણા હાથને પણ જાણ ન થાય. અંતમાં તેમણે વિશ્વાસ અપાવ્યો હતો કે, “સેવાકીય કાર્યોમાં જ્યાં પણ જરૂર પડશે અથવા કામ અટકતું હશે, ત્યાં હું વ્યક્તિગત રીતે સહયોગ આપવા માટે ખડેપગે રહીશ..
