સાબરકાંઠામાં ઈડરના બરવાવમાં રખડતા શ્વાનોનો આતંક
રખડતા શ્વાનોએ 4 વર્ષીય બાળક પર કર્યો હુમલો
બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
સાબરકાંઠામાં ઇડર તાલુકાના બરવાવ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બુધવારે સવારે કુવા પર રમી રહેલા ચાર વર્ષના બાળક મનોજને ત્રણ રખડતા શ્વાનોએ ગંભીર રીતે બચકા ભર્યા હતા. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઇડર તાલુકાના બરવાવ ગામમાં આ ઘટના બરવાવ ગામના લાલજીભાઈ ચૌધરીના કુવા પર બની હતી. ઘઉંની સિઝન હોવાથી સુનિલભાઈ નામના ખેતમજૂર ત્યાં મજૂરી કામ માટે આવ્યા હતા. સવારે આશરે 9 વાગ્યાના સુમારે સુનિલભાઈ ઘઉં વાઢી રહ્યા હતા, ત્યારે અચાનક ત્રણ રખડતા શ્વાનો ત્યાં આવી પહોંચ્યા હતા. શ્વાનોએ કુવા પર રમી રહેલા સુનિલભાઈના ચાર વર્ષના પુત્ર મનોજ પર હુમલો કર્યો હતો. તેમણે માથા અને પગ સહિત શરીરના અનેક ભાગો પર બચકા ભર્યા હતા. નજીકમાં કામ કરી રહેલા પિતા સુનિલભાઈ અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને બાળકને શ્વાનોના હુમલામાંથી છોડાવ્યો હતો. શ્વાનો ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
ઈજાગ્રસ્ત બાળક મનોજને તાત્કાલિક ઇડર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, શ્વાનોના બચકા ગંભીર હોવાથી, વધુ સારવાર માટે તેને હિંમતનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
